મંગવાણા, જિયાપર તેમજ સુખપરમાં ચેકિંગઃ માસ્ક ન પહેરનાર લોકો દંડાયા
- લોકોએ સંકલ્પ તો લઈ લીધા પણ નિભાવતા નથી
Updated: May 15th, 2020
આણંદપર,તા.૧૪
હાલ ચાલી રહેલ કોરોના કોવિડ-૧૯ દરમ્યાન સરકાર દ્વારા નિયમો ઘડવામાં આવ્યા છે.જેમાં લોકોને ઘરથી બહાર ના નીકળવાનું અથવા ફરજીયાત નીકળવાનું થાય તો મોં અને નાક પર માસ્ક અથવા રૃમાલ કે ગમચ્છુ બાંધીને નીકળવાનો નિયમનું ફરજીયાત પાલન કરવાનું હોય છે પણ અમુક લોકો આવા નિયમોને આંખ આડા કાન કરીને નીકળી પડે છે. આવા લોકોને પકડી પાડવા ગામડે-ગામડે ટીમો બનાવીને લોકોને સમજાવવામાં આવે છે અને માસ્ક વગરનાને ૧૦૦ રૃપિયાનો દંડ ફટકારી તેને પહોંચ આપવામાં આવે છે. જેના ભાગરૃપે મંગવાણા,જીયાપર તેમજ સુખપર(રોહા) ગામે અલગ-અલગ સમયે જયાં લોકોની અવર-જવર વધારે જોવા મળતી હોય એવા સ્થળે આ ટીમ દ્વારા ઓચિંતાનું ચેકીંગ હાથ ધરતા ૫૭ (સતાવન)લોકો દંડાયા હતા.જેમાં એક વ્યક્તિએ ૧૦૦ રૃપિયા દંડ પેટ ચૂકવ્યા હતા. આમ ૫૭૦૦ રૃપિયા દંડ પેટે વસુલવામાં આવ્યા હતા. આ ટીમના અધિકારીઓએ લોકોને કોરોના વાયરસની બીમારી કેવી રીતે ફેલાય તેની માહિતી આપી હતી અને માસ્ક વગર નિકળસો તો આજે દંડાયા છો એમ બીજી વખત પણ દંડાવવાનો વખત આવશે તેવી પણ ચિમકી આપવામાં આવી હતી. આ આ કાર્યવાહી વખતે નાયબ મામલતદાર, મંગવાણા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ., મંગવાણા, જીયાપરના સરપંચ , મંગવાણાના વી.ઇ.સી. સહિતની ટીમે સ્થળપર કાર્યવાહી કરી માસ્ક વગરના ફરતા લોકોને દંડયા હતા.