Get The App

પાટીદાર સમાજમાં સાતમ-આઠમના તહેવારોની કરાતી અનોખી ઉજવણી

Updated: Aug 28th, 2021

GS TEAM


Google News
Google News
પાટીદાર સમાજમાં સાતમ-આઠમના તહેવારોની કરાતી અનોખી ઉજવણી 1 - image


- જન્માષ્ટમીની ઉજવણી કરવા દેશના અન્ય ભાગોમાં વસતા પાટીદારો કચ્છ પહોંચ્યા

- બહેન-દિકરીઓ ઢોલના તાલે ગામના ચોકમાં રાસ લેતી હોવાથી વૃંદાવન જેવા માહોલ સર્જાય, કૃષ્ણ જીવન ચરિત્ર સહિતના કાર્યક્રમો પણ ઉજવાય

આણંદપર(યક્ષ) : સાતમ-આઠમનો તહેવાર એટલે પાટીદાર સમાજનો એક આગવો તહેવાર.  આ તહેવાર મનાવવા પાટીદાર સમાજના લોકો માદરે વતન સાતમ-આઠમના તહેવાર પહેલા પહોંચી આવે છે.જેમાં વીરપસલી,રક્ષાબંધન,લક્ષ્મી નારાયણ મદિરનો પાટોત્સવ,શિવ મંદિર,ઉમિયા માતાજી મદિરનો પાટોત્સવ તેમજ શ્રાવણ વદ પાંચમ ની રાત થી જન્માષ્ટમી સુધી આ સમાજ ઉજવણી કરે છે જેમાં જન્માષ્ટમીની રાત્રીના આખી રાત જાગરણ કરે છે અને દેશી ઢોલના તાલે રાસ લે છે. હજુ પણ અમુક ગામોમાં આ સમાજ દ્વારા સમાજવાડી માં જ લાડુ બનાવે છે અને જે શુદ્ધ અને પડતર ભાવેજ સમાજના લોકોમા વહેંચણી કરે છે.

સમાજ દ્વારા આ તહેવાર નિમિતે યશોદા,વાસુદેવ-દેવકી,અને બજરગબલીની મૂતઓ બનાવવામાં આવે છે.જે વધારે ચડાવો બોલે એના ઘેર આ મૂતઓ બને છે. સાતમના દિવસે સવારના શીતળા માતાજીએ બાજરાના લોટ,ગોળ અને ઘી ની કુલર બનાવીને ચડાવવા જાય છે અને આ દિવસે આગળના દિવસે બનાવેલું ખાય છે. 

પાટીદાર  સમાજમાં દિવાળી પહેલા દીકરીના લગ્ન થયા હોય તો એ દીકરી માવતરના ગામે સાતમ-આઠમ કરવા એક માસ અગાઉ આવે છે અને અહીં ઉજવણી કરે છે અને ગોયણી બને છે જેમાં જન્માષ્ટમીની ઉજવણી વખતે સવારથી જ કૃષ્ણના જન્મોત્સવની ઉજવવાની તૈયારી કરે છે અને આ દિવસે ઉપવાસ કરીને જાગરણ પણ કરે છે અને જેના ઘેર કાનુડો બનાવવામાં આવે છે.એ પરિવાર દ્વારા આ ગોયણીઓને ફળાહાર કરાવે છે.બપોરના ત્રણ વાગ્યા પછી ઢોલે રમે છે અને ત્યારબાદ મુરત પ્રમાણે જેને ત્યાં યશોદા બનાવવામાં આવ્યા છે તેને ત્યાં લક્ષ્મી નારાયણ મંદિર ચોકથી વાજતેગાજતે તેડવા જાય છે.તેડીને આવ્યા બાદ લક્ષ્મી નારાયણ ચોકમાં ચડાવા બોલવામાં આવે છે જે વધારે ચડાવો બોલે એ ગોયણીના માથા પરથી ઉતારીને મંદિરની અંદર બનાવેલ સિંહાસન પર બેસાડે છે.ત્યારબાદ રાત્રે બાર વાગે કૃષ્ણ જન્મની ઉજવણી કરે છે જેમાં મટકીફોડ,કૃષ્ણનું જીવન ચરિત્ર જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે.આમ કૃષ્ણ જન્મોત્સવ પછી કાનુડાને પારણા માં ઝુલાવે છે ને પજરીની તેમજ લાડુની પ્રસાદી આપવામાં આવે છે.બીજે દિવસે સવારના યશોદાને તારવા માટે વાજતે ગાજતે ગામની નજીક આવેલ તળાવે આવે છે અને ત્યાં તારે છે.અંને કાનુડાને વગડામાં મુકવા જય છે.

આમ આ સમાજ સાતમ-આઠમના તહેવારને ખુબજ મહત્વ આપે છે.જયાં ધધાર્થે સ્થાઈ હોય અને માદરે વતન આવી શકાયુ ના હોયતો ત્યાં પણ આજુબાજુના ગામોમાં રહેતા પાટીદાર સમાજના લોકો એક જગ્યાએ ભેગા થઈને સાતમ-આઠમની ઉજવણી કરે છે.આ તહેવારો વખતે સમાજના પ્રમુખ,મહિલા મંડળના પ્રમુખ,નવયુવક મંડળના પ્રમુખની વરણી કરવામાં આવે છે અને સમાજના બીજા કોઈપણ કામોના ઠરાવો આ સાતમ-આઠમ પર કરવામાં આવે છે.

ગત વર્ષ કોરોનાના કારણે ગામના ચોકો સુના બન્યા હતા તેમજ સાતમ-આઠમ અને પાટોત્સવ જેવા તહેવારોની ઉજવણી ના થવાના કારણે આ તહેવારો ફિકા બન્યા હતા.આ વર્ષ સાતમ-આઠમના તહેવારોની ઉજવણી કરવા સરકાર દ્વારા છૂટ આપવામાં આવતા લોકોમાં ખુશી જોવા મળી હતી.અને જે સરકારના નિયમો છે એ પણ પાળવામાં આવશે. આમ ગત વર્ષ ઉજવણી નહોતી થઈ જયારે આ વર્ષ ઉજવણી કરવામાં આવશે.

Tags :