ખેતીમાં ખર્ચ ઓછો અને આવક વધારવા માણસાના ખેડૂતે શોધ્યો ગજબનો ઉપાય
માણસાાના પારસા ગામના ખેડૂતનો અનુભવ : રાસાયણિક ખેતીથી જમીન ઉજ્જડ અને કઠણ થવા લાગી, ખાતર વધુ વપરાતાં ગયા અને ઉત્પાદન પણ ઘટવા લાગ્યું
પ્રકૃતિ સાથે જોડાયેલી કોઈ પણ બાબતનો જ્યારે ઉલ્લેખ થાય ત્યારે નફા-ખોટની વાત આવે ખરી ? પરંતુ માનવીય સ્વભાવ છે કે, કોઈ પણ બાબતની ચર્ચા થાય ત્યારે ‘‘મારે શું અને મારું શું ?’’નો પ્રશ્ન પહેલો ઉદ્ભવે. રાસાયણિક ખેતીના વમળમાં ફસાયેલો ખેડૂત મનોમન સ્વીકારે તો છે જ કે રાસાયણિક ખેતી કોઈ રીતે ફાયદાકારક નથી, પણ જેવી હોય તેવી, ઉત્પાદન તો વધુ આવે છે. અને ઉત્પાદન વધુ આવે તો ગમે તેટલો ખર્ચો થાય, પણ કંઈક ને કંઈક મળી રહેશે.
ખેડૂતોના મનમાં એવો પણ પ્રશ્ન છે કે, રાસાયણિક ખેતીના વિકલ્પે પ્રાકૃતિક ખેતી અપનાવીએ તો સરવાળે નુકસાન જાય છે, કારણ કે, ઉત્પાદન પ્રમાણમાં ઓછું મળે છે, પણ વાસ્તવિકતા સાવ એવી નથી. કયાંક ઉત્પાદન ઓછું મળે તો ભાવ ડબલ મળે. એટલે સરવાળે ફાયદો જ ફાયદો.
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પારસા ગામના આત્મારામભાઈ પ્રજાપતિ સ્પષ્ટપણે જણાવે છે કે, રાસાયણિક પદ્ધતિથી થતી ખેતીની તુલનામાં પ્રાકૃતિક ખેતી તમામ રીતે ફાયદાકારક છે. અને આર્થિક દૃષ્ટિએ ખૂબ લાભદાયી છે. તેમનો અનુભવ તેમના જ શબ્દોમાંઃ
‘‘હું લગભગ ૪૦ વર્ષથી રાસાયણિક ખેતી કરતો હતો. જેમ જેમ વર્ષો વીતતાં ગયાં તેમ તેમ જમીન ઉજ્જડ અને કઠણ પણ થવા લાગી. ખાતર પણ વધુ વપરાતાં ગયા અને ઉત્પાદન ઓછું થવા લાગ્યું. તેના કારણે અમને થયું કે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ.
હવે આ પ્રાકૃતિક ખેતી કરવાથી અમને સારો એવો આર્થિક લાભ થવા લાગ્યો છે. જ્યારે રાસાયણિક ખેતી કરતા હતા ત્યારે શરૂઆતમાં ઉત્પાદન મળતું, પરંતુ પાછળથી ધીમે ધીમે ઘટવા લાગ્યું. ખર્ચ પણ વતા ગયા. ત્યારે હેક્ટરે દવા-ખાતર સાથે અંદાજે રૂપિયા ૬૦ થી ૬૫ હજાર જેટલો ખર્ચો થતો પણ ઉત્પાદન પૂરતું આવે નહીં, પછી ગમે તેવો પાક લઈએ ખર્ચ આટલો ને આટલો જ. ખાતર-દવાનો ખર્ચ અમને મોંઘો પડતો ગયો. ખર્ચને બાદ કરતાં નફાનું પ્રમાણ બહુ રહેતું નહીં. હેક્ટરે રૂપિયા ૬૦થી ૭૦ હજારનો ખર્ચ કરીએ તો માંડ રૂપિયા દસેક હજાર બચે.
આ પરિસ્થિતિનો અમને ઉકેલ જોઈતો હતો એટલે અમે એ દિશામાં વિચાર શરૂ કર્યો અને અમે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા. જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હતા તેના વિશે અમે જાણકારી મેળવી અને પ્રત્યક્ષ અનુભવ પણ કર્યો. પછી અમે રાજ્ય સરકારના આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયા. પ્રાકૃતિક ખેતીની અન્ય પદ્ધતિઓની પણ વિશેષ જાણકારી મેળવી. શરૂઆતના દિવસોમાં રાસાયણિક ખેતીના અતિરેકના કારણે જમીનની ફળદ્રુપતા ઓછી થઈ ગઈ હોવાથી, પ્રાકૃતિક ખેતી અંતર્ગત પહેલા વર્ષમાં ઉત્પાદન પ્રમાણમાં થોડું ઓછું હતું એટલે અમે બટાટાના વિકલ્પે ઘઉંની ખેતી તરફ વળ્યા. ઘઉંમાં છેલ્લાં ૫ વર્ષથી અમને સારું એવું વળતર મળે છે, ભાવ પણ સારા એવા મળે છે, અમે ૧ એકરમાં ઘઉંની ખેતી કરીએ છીએ અને એકર દીઠ સરેરાશ ૬૫ થી ૬૭ મણ ઉત્પાદન લઈએ છીએ. આટલા જ વિસ્તારમાં રાસાયણિક પદ્ધતિથી ઘઉંની ખેતી કરીએ તો ૧ એકરે ઉત્પાદન તો આટલું જ આવે પણ તેનો ખર્ચ પ્રાકૃતિક ખેતી કરતાં અનેકગણો વઘારે થાય.
રાસાયણિક કરતા પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો
અમે ૧ એકરમાં ઘઉંનું સરેરાશ ૬૫ થી ૬૭ મણ ઉત્પાદન લઈએ છીએ. રાસાયણિક પદ્ધતિથી ઘઉંની ખેતી કરીએ તો ૧ એકરે ઉત્પાદન તો આટલું જ આવે પણ તેનો ખર્ચ પ્રાકૃતિક ખેતી કરતાં અનેકગણો વઘારે થાય. અમે ૯૦૦ રૂપિયા મણના ભાવે ઘઉંનું વેચાણ કરતા આવક એકર દીઠ અંદાજે રૂા. ૬૫,૦૦૦ની આસપાસ થાય તેમાંથી રૂા. ૨૫,૦૦૦ નો ખર્ચ બાદ કરીએ તો પણ રૂા. ૪૦,૦૦૦નો ચોખ્ખો નફો થાય છે, જે રાસાયણિક ખેતીમાં શક્ય નથી.
ઘઉંનું ઉત્પાદન અને વેચાણ, ખર્ચ ઓછો, આવક વઘુ
હું ૯૦૦ રૂપિયા મણના ભાવે ઘઉંનું વેચાણ કરતા આવક એકર દીઠ અંદાજે રૂા. ૬૫,૦૦૦ની આસપાસ થાય તેમાંથી રૂા. ૨૫,૦૦૦ નો ખર્ચ બાદ કરીએ તો પણ રૂપિયા ૪૦,૦૦૦નો ચોખ્ખો નફો થાય છે. ઘઉંની પરાળીની આવક ગણીએ તો રૂપિયા ૫૦૦૦ ઉમેરતા રૂપિયા ૪૫,૦૦૦ની આવક થાય છે. રાસાયણિક ખેતીથી પકવેલા ઘઉં સરેરાશ રૂપિયા ૪૦૦ની આસપાસ વેચાય અને તેનો ખર્ચ પણ ઘણો વઘારે એટલે સરવાળે અમને પ્રાકૃતિક ખેતી વઘુ અનુકૂળ જણાય છે. ‘મૂળ વાત તો એ છે કે, પ્રાકૃતિક ખેતીમાં ઘઉંનું ઉત્પાદન જળવાઈ રહ્યું, સામે ખર્ચ પણ ઘટ્યો. તેના કારણે નફાનું પ્રમાણ પણ વઘ્યું. બીજી મહત્વની વાત એ છે કે, પ્રાકૃતિક ખેતીથી પકવેલા ઘઉંના ભાવ પણ સારા એવા મળે છે. મારા ઘઉં બજારમાં રૂપિયા ૯૦૦ના ભાવે વેચાય છે અને એ પણ ઘેરબેઠાં. જ્યારે રાસાયણિક ખેતીથી પકવેલા ઘઉંનો ભાવ માંડ માંડ રૂપિયા ૪૦૦ની આજુબાજુ મળે. આમ ઘઉંની ગુણવાાના કારણે મને ડબલ ભાવ મળે છે.’