- સ્થાનિકો સહિત વાહન ચાલકોને હાલાકી
- 18 કરોડના ખર્ચે એલ.જી. ચૌધરીની કંપનીએ 2023 માં નવીનીકરણ અને રોડ પહોળો કરવાનું કામ પુરૂ કરવાનું હતું
કપડવંજ તાલુકામાં તૈયબપુરાથી લાડુજી, વઘાસ, નાનીઝેરનો રોડ પહોળો અને નવીનીકરણ માટે કામ શરૂ કરવાની તા. ૧/૧૧/૨૦૨૨ અને કામ પૂરું કરવાની તા. ૩૦/૧૦/૨૦૨૩ હતી. ત્યારે કામ પૂરું કરવાની તારીખથી ૧ વર્ષ જેટલો વધારે સમય થઈ ગયો હોવા છતાં હાલ રસ્તો જૈસેથે હાલમાં જ છે. અંદાજે ૧૮ કરોડના ખર્ચે રસ્તાનું નવીનીકરણ અને રસ્તો ૩-૭૫થી ૫-૫૦ મીટર પહોળો કરવાનું કામ એલ.જી. ચૌધરીની કંપનીને સોંપવામાં આવ્યું હતું. જે કામ અધિકારીઓ અને કોન્ટ્રાકટરની નીસરતાના કારણે બંધ છે. ઉપરાંત કપડવંજ તાલુકાના ઘડિયા ગામના પૌરાણિક શ્રી વહાણવટી માતાજીના મંદિર ખાતે નવરાત્રીમાં લોક મેળો ભરાય છે. માતાજીના મંદિરે અમદાવાદ, સાબરકાંઠા, દહેગામ, ખેડા જિલ્લામાંથી માનવ મહેરામણ દર્શનાર્થે ઉમટે છે. ત્યારે ઘડિયા જવાના બંને રસ્તાઓ ખુબ જ ખરાબ હાલતમાં છે. સ્થાનિકો વર્ષોથી તકલીફોનો સામનો કરી રહ્યા છે. ત્યારે હવે બહારથી આવતા દર્શનાર્થીઓ પણ હાલાકી ભોગવવા મજબૂર બનશે. ત્યારે સત્વરે આ રસ્તાનું કામ શરૂ કરાય તેવી માંગણી ઉઠી છે.
આ અંગે કપડવંજ પીડબ્લ્યૂડીના એસઓ હાર્દિકે જણાવ્યું હતું કે, નાની ઝેર વઘાસનો રસ્તો તા. ૧લી સુધી પહોળો થઈ જશે, પરંતુ ડામરકામ પુરૂ થતાં અંદાજે ત્રણ ચાર મહિના સુધીનો સમય લાગી શકે છે.


