Get The App

પરિએજ વેટલેન્ડમાં સારસ ક્રેનની વસ્તી 500 થી વધીને 1,254 એ પહોંચી

Updated: Feb 6th, 2024

GS TEAM

Google News
Google News
પરિએજ વેટલેન્ડમાં સારસ ક્રેનની વસ્તી 500 થી વધીને 1,254 એ પહોંચી 1 - image


- નવ વર્ષના અંતે સારસ પક્ષીની વસ્તીમાં 750 નો વધારો

- રાજ્યમાં 1800 થી 2000 ની સારસની વસ્તી પૈકી 60 ટકાથી પણ વધુ વસ્તી પરિએજમાં જોવા મળે છે

નડિયાદ,આણંદ : સારસ પક્ષીના સંરક્ષણ અને જતન માટે રાજ્યમાં યુપીએલ દ્વારા પ્રોજેક્ટ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યમાં સારસ પક્ષીની સરેરાશ ૧૮૦૦ થી ૨૦૦૦ની વસ્તી છે, ત્યારે આણંદ-ખેડા જિલ્લાની બોર્ડર ઉપર આવેલા માતરના પરીએજ ખાતેને વેટલેન્ડ પર આ પ્રોજેક્ટ અંતર્ગત નવ વર્ષ બાદ સારસ પક્ષીની સંખ્યામાં બમણાથી વધુનો વધારો જોવા મળ્યો છે.

સારસ ક્રેન વૈશ્વિક સ્તરે સૌથી વધુ ઉંચાઈએ ઉડતું પક્ષી છે અને ઈન્ટરનેશનલ યુનિયન ફોર કર્ન્ઝવેશન ઓફ નેચર રેડની યાદી અંતર્ગત સંવેદનશીલ પક્ષી તરીકે વર્ગીકૃત કરાયું છે. સામાન્ય રીતે ભીની એટલે કે વેટલેન્ડમાં માનવ વસવાટની આસપાસમાં વસવાટ કરતા સારસ પક્ષીને આહાર અને સંવર્ધન માટે ખેત ક્ષેત્રો પર નિર્ભર રહેવું પડે છે.

 સારસ પક્ષીની સંખ્યામાં ઘટાડો થવા પાછળના કેટલાક કારણો પૈકી વેટલેન્ડના પ્રમાણમાં ઘટાડો થવા સાથે રહેવાની જગ્યાની સીસ્ટમ ખોરવાઈ હોવાનું પરિબળ મુખ્ય કારણ હોવાનું પર્યાવરણપ્રેમીઓ માની રહ્યાં છે. આણંદ-ખેડા જિલ્લાની બોર્ડર ઉપર આવેલા માતરના પરીએજ ખાતેના વેટલેન્ડ પર આ પ્રોજેક્ટ વર્ષ-૨૦૧૫થી ચાલી રહ્યો છે. 

નવ વર્ષ બાદ અહીં સારસ પક્ષીની સંખ્યામાં બમણાથી વધુનો વધારો જોવા મળ્યો છે. યુપીએલ સારસ ક્રેન કન્ઝર્વેશન પ્રોજેક્ટમાં વર્ષ-૨૦૧૫માં ૫૦૦ સારસ પક્ષી જોવા મળ્યા હતા. ત્યારબાદ સંસ્થા દ્વારા સારસ પક્ષીના સંરક્ષણ અને જતનને ધ્યાનમાં લઈ ખેડૂતો અને ગ્રામજનો સાથે રાખી પ્રોજેક્ટને સર્વગ્રાહી રીતે વિકસાવવામાં આવતા ૯ વર્ષના અંતે સારસની સંખ્યામાં બમણાથી વધુનો એટલે કે ૭૫૦નો વધારો થયો છે. જેથી હાલ અહીં કુલ ૧૨૫૪ સારસ કુદરતી વાતાવરણમાં વિહરતા જોવા મળે છે.સારસ પક્ષીના જતન અને સંરક્ષણ માટે કામ કરતી સંસ્થાના કાર્યકરે જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ સારસ જોવા મળે છે અને ત્યાં સારસને રાજ્ય પક્ષીનો દરજ્જો આપવામાં આવ્યો છે. સાથે સાથે રાજસ્થાન અને ગુજરાતમાં સારસની વસ્તી જોવા મળે છે. ગુજરાતમાં સરેરાશ ૧૮૦૦ થી ૨૦૦૦ની સારસની વસ્તી પૈકી ૬૦ ટકાથી વધુ પરીએજ વેટલેન્ડમાં જોવા મળે છે. 

ખેડૂતો સાથે રહેવા ટેવાયેલા અને પાણી સાથે સંકળાયેલુ પક્ષી સારસ જુલાઈથી ઓક્ટોબર માસમાં માળો બનાવે છે. દર વર્ષે તા.૨૧ જૂનના રોજ સારસ પક્ષીની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે. જેમાં ૧૫૫ ગામોના નાના-મોટા તળાવો અને વેટલેન્ડ પર સંસ્થાની ટીમ દ્વારા સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી સારસની વસ્તી ગણતરી કરાય છે. બે વખત વસ્તી ગણતરી કરવામાં આવે છે.

પરીએજ ખાતેના વેટલેન્ડ પર આ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ 2015 થી વર્ષવાર નોંધાયેલી સારસની વસ્તીના આંકડા

વર્ષ

વસ્તી

૨૦૧૫

૫૦૦

૨૦૧૬

૫૪૪

૨૦૧૭

૬૫૭

૨૦૧૮

૭૨૬

૨૦૧૯

૭૭૨

૨૦૨૦

૮૨૯

૨૦૨૧

૯૧૫

૨૦૨૨

૯૯૨

૨૦૨૩

૧૨૫૪

Tags :