Get The App

શિક્ષકોના પરિવારો દ્વારા માતરમાં આમરણાંત ઉપવાસ શરૂ કરાશે

Updated: Dec 29th, 2021

GS TEAM

Google News
Google News
શિક્ષકોના પરિવારો દ્વારા માતરમાં આમરણાંત ઉપવાસ શરૂ કરાશે 1 - image

- માતર તાલુકામાં વધી રહેલો વિવાદ

- ચાલુ નોકરીએ મૃત્યુ પામનારા પ્રાથમિક શિક્ષકો સરકારી લાભોથી વંચિત હોવાનો આક્ષેપ

નડિયાદ : માતર તાલુકામાં આવેલ જુદી જુદી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો ચાલુ નોકરીએ અવસાન પામતા તેઓના પરિવારોને  મળવાપાત્ર સરકારના લાભો છેલ્લા આઠ મહિનાથી ન મળતા શિક્ષકોના પરિવારની હાલત કફોડી બની જવા પામી હોવાનું જાણવા મળેલ છે. માતર શિક્ષક સંઘ પણ આ વણઉકલ્યા પ્રશ્નોને ઉકેલવામાં લાચારી અનુભવી રહ્યો છે.

માતર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો કે જેઓ ચાલુ નોકરીએ અવસાન પામ્યા હતા તેઓનો પરિવાર માતર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએ સરકારના લાભો મેળવવા ધરમ ધક્કાઓ ખાઈ રહ્યા છે.

માતર કચેરીના જવાબદાર દ્વારા અવસાન પામેલા શિક્ષકોના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ દાખવવાની જગ્યાએ જુદી જુદી ક્ષતિઓ બતાવી આ ફાઈલો માતર કચેરીએ થી નડિયાદ સુધી છેલ્લા આઠ મહિનાથી પહોંચડવામાં જ આવતી નથી.

પરિવાર ધક્કાઓ ખાઈને અને કચેરી તરફથી સહકાર ન મળતા નિસહાય બની ગયો છે.

વધુમાં માતર શિક્ષણ વિભાગની કચેરી દ્વારા મંગાવેલા  તમામ આધાર પુરાવાઓ આ પરિવારોએ નિયત સમય મર્યાદામાં રજૂ પણ કરવામાં આવ્યા હોવા છતાં સરકાર તરફથી મળવાપાત્ર લાભો છેલ્લા આઠ મહિનાથી આપવામાં આવ્યા નથી. માતર કચેરી દ્વારા અખાડા કરવામાં આવી રહ્યા છે.  આ વણઉકલ્યો પ્રશ્ન આગામી દસ દિવસમાં નહિ ઉકેલાય તો માતરના ગુજરી જનાર શિક્ષકોનો પરિવાર માતર ખાતે શિક્ષણ કચેરીએ આમરણાંત ઉપવાસ પર બેસવાની પણ તૈયારીઓ આરંભી હોવાનું શિક્ષક વર્તુળમાં ચર્ચાઓએ જોર પકડયું છે.

ક્યા કયા લાભોથી વંચિત છે

(૧) જૂથ વીમો

(૨) ગ્રેજ્યુઇટી મૃત્યુ સહાય

(૩) જી.પં.સ્વંભંડોળ નિધિ

(૪) ઉચ્ચક નાણાંકીય સહાય

(૫) રાષ્ટ્રીય કલ્યાણ નિધિ

(૬) જી.પી.એફ./સી.પી.એફ.

(૭) મરણોત્તર સહાય

ચાલુ નોકરીએ ગુજરી જનારા શિક્ષક

(૧) ભીમસિંહ મકવાણા પ્રા.શાળા દલોલી

(૨) ટ્વીન્કલબેન નાયી પ્રા.શાળા સીંજીવાડા

(૩) પુનમભાઈ રાઠોડ પ્રા.શાળા સીંજીવાડા

(૪) ભરતભાઇ મકવાણા પ્રા.કુમાર શાળા પરીએજ