ડાંગરના પાકના ઉતારાને લઇ ખેડૂતોની હાલત કફોડી બની
- ચાલુ વર્ષે ખરીફ મોસમમાં પાણી મોડું મળવાથી
- ચરોતર પંથકમાં ચાલુ વર્ષે મોટાભાગના ખેડૂતો ફરી દેવાદાર બનશે
ચોમાસામાં વરસાદનો વિલંબ થતા મોડો પડયો હતો અને નહેરોના પાણી પણ ખેડૂતોને ન મળતા ખેડૂતો ડાંગર ઉત્પાદન પૂરતા પ્રમાણમાં કરી શક્યા ન હતા. બે મહિના જેટલો મોડો વરસાદ પડતાં કેટલાક ખેડૂતોએ ડાંગરની રોપણી મોડી કરી હતી. અને નહેરના એક પાણી મળતા ડાંગર રોપણી થઈ શકી હતી. મોંઘા બિયારણો, ધરૂ, મજૂરી, ખાતરના ભાવો ઊંચા અને ખેડાણના ભાવો ખૂબ જ વધી જતાં ડાંગરના પાકનું ઉત્પાદન ખર્ચાળ થયું હતું. ખેડૂતોને ડાંગરના પાકમાં સમયસર નહેરના પાણી નહીં મળતા ડાંગરનો ઉતારો બંધ બેસતો નહીં હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. ચાલુ વર્ષે ખેડૂતોને ડાંગરમાં સીધી ખોટ જવાની પુરી શક્યતાઓ રહેલી છે. ડાંગરનો ઉતારો પ્રતિ વીઘે થતો હતો જે આ વર્ષે ડાંગરનું રોપાણ પાછોતરું હોવાથી ભાવ પણ જોઈએ તેટલો મળતો નથી. ખેડૂતોના ખેતીમાં ખર્ચાઓ વધી ગયા તેની સામે આવક ઘટી જવા પામી છે. માતર તાલુકા ના પાલ્લા ગામના એક ખેડૂત કેયુરભાઈ પટેલના કહેવા મુજબ ચાલુ વર્ષે ચોમાસામાં વરસાદ મોડો આવતા અને નહેરોમાં પાણી નહીં મળતા ખેડૂતો ખરીફ ડાંગરના પાક નું ઉત્પાદન પૂરતા પ્રમાણમાં લઈ શક્યા ન હતા. રોપણીમાં જ્યારે ખેડૂતોને ડાંગર પાકમાં પાણી જોઈતું હતું ત્યારે તંત્ર દ્વારા પાણી ખેડૂતોને આપવામાં આવ્યું ન હતું. માત્ર ધરૂ વાડિયામાં જ પાણી શરૂમાં મળ્યું હતું. ડાંગરની રોપણીમાં ખેડૂતોને નહેરોના પાણી જ ન મળ્યા. જેને લઈ ને સરેરાશ ૪૫ ટકા વિસ્તાર ભાલમાં પડતર રહેવા પામ્યો હતો. ભાદરવામાં વરસાદ પડયો ત્યારે ખેડૂતોએ જોખમ કરી દુર દુરથી ડાંગરનું ધરૂ લાવી રોપણી કરી હતી. જે વિસ્તારમાં નહેર આધારીત ખેતી છે ત્યાં તંત્ર એ નહેરોમાં પાણી ન આપ્યું. હાલમાં જે ડાંગર નું ઉત્પાદન થયું છે તે વરસાદના પાણીથી કરવામાં આવ્યું છે. અગાઉ કેનાલોના પાણીથી જે ખેડૂતોએ ડાંગરના ધરૂ નાખ્યા હતા તે તમામ ધરૂ નહેરોમાં પાણી નહીં આવવાના અને વરસાદ મોડો થવાને લઈને નિષ્ફળ ગયા હતા. કેટલાક ખેડૂતો એ કુવાના અને નદીના પાણીએ ડાંગરના ધરૂ નાખ્યા હતા અને બે થી અઢી મહિના બાદ કેનાલમાં પાણી આવતા ખેડૂતોએ ડાંગરની રોપણી કરી હતી. ખેડૂતોને પ્રતિ વીઘામાં રૂ.૧૪,૨૮૦ નો ખર્ચો થઈ રહેલ છે તેની સામે ખેતરમાંથી ડાંગરનું ઉત્પાદન ચાલુ વર્ષે ઘટી જતાં ૪૦થી ૪૫ મણ ડાંગરનો ઉતારો બંધ બેસી રહેલ છે. જે ગત વર્ષે ૬૫ થી ૭૦ મણનો ઉતારો બંધ બેસતો હતો.
પ્રતિ વીઘે રૂપિયા 15,750 ની આવક સામે 14,280નો ખર્ચ
હાલમાં સારી ડાંગરનો પ્રતિ મણ રૂપિયા ૩૫૦ ભાવ વેપારીઓ આપી રહ્યા છે. હાલમાં ખેડૂતને ૪૫ મણ ડાંગરનો પાક નો ઉતારો બંધ બેસતા રૂપિયા ૩૫૦ નો ભાવ વેપારીઓ દ્વારા મળતા પ્રતિ વીઘે રૂપિયા ૧૫,૭૫૦ની આવક સામે રૂપિયા ૧૪,૨૮૦ નો ખર્ચ થવા પામેલ છે. આમ ખેડૂતો ને પ્રતિ વિઘામાં માત્ર ને માત્ર રૂપિયા ૧૪૭૦ ની જ આવક મળવાની શક્યતાઓ રહેલ છે.
તેમાં હજુ ખેડૂતો ખેતી કરવા બજારમાં થી શાહુકારો પાસે થી ઊંચા વ્યાજે નાણાં લાવે છે તેનું વ્યાજ ૪ મહિનાનું જો ગણતરીમાં લેવામાં આવે તો રૂપિયા ૧૨૦૦ વ્યાજ ની રકમની કપાત ૧૪૭૦ માંથી કરવામાં આવે તો માત્ર રૂપિયા ૨૭૦ ની આવક પ્રતિ વિધામાં થી મળશે.