Get The App

ડાકોરમાં 'જય રણછોડ'ના નાદ સાથે આજે 252 મી રથયાત્રા નીકળશે

Updated: Jul 7th, 2024

GS TEAM

Google News
Google News
ડાકોરમાં 'જય રણછોડ'ના નાદ સાથે આજે 252 મી રથયાત્રા નીકળશે 1 - image

- ઠાકોરજી ચાંદીના રથમાં બિરાજી નગરચર્યાએ નીકળશે, ભક્તોમાં અનેરો હરખ

- 8 કિ.મી.લાંબી ગોમતી પ્રરિક્રમા કરાશે, દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે

ડાકોર : યાત્રાધામ ડાકોરમાં આજે આષાઢી બીજે ૨૫૨ મી રથયાત્રા નીકળશે. જેમાં ઠાકોરજી નગરચર્યાએ નીકળી ભક્તોને દર્શન આપશે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકભક્તો જોડાશે. ચાંદીના રથમાં ઠાકોરજીને બિરાજમાન કરી ૮ કિ.મી.ની રથયાત્રા કઢાશે. જય રણછોડ...ના નાદ સાથે, ભક્તોના જયકારા સાથે અબીલ-ગુલાલની છોડો, ઢોલનગારા , ભજનમંડળીઓ, કરતબબાજોની હાજરીમાં નીકળનારી ડાકોરની આ ભવ્યાતિભવ્ય રથયાત્રા જોવા ગુજરાતભરમાંથી હજારો લોકો ઉમટી પડશે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણી, નાસ્તા , ભોજન સહિતની વ્યવસ્થા પણ ભક્તો માટે કરવામાં આવી છે. ભગવાનની પ્રસાદી પણ ભક્તોને અપાશે.

ડાકોર મંદિર ના સેવક આગેવાનોના જણાવ્યા પ્રમાણે આજે રવિવારે સવારે ગુરૂપુષ્ય નક્ષત્રમાં મંદિરના ઘુમ્મટમાં ચાંદીના રથનું અધિવાસન કરી ઠાકોરજીની આજ્ઞાા માળા ધારણ કરાવી અને ગોપાલલાલજીને બીરાજમાન કરાવવામાં આવશે. પછી ડાકોરના નવયુવાનો દ્વારા રથ ખેંચવાની પરંપરા મુજબ મંદિર પરિસરમાં કુંજોમાં ગોપાલલાલજીને બેસાડી મગવૈઢા કેરી જાંબુ સાકારનો પ્રસાદ ભક્તો અને કુંજ રાખનાર વૈષ્ણવો દ્વારા ધરાવવામાં આવશે.

 ગોપાલલજીને સુખપાલના બેસાડીને મંદિરની બહાર જોતરે જોડેલા ચાંદીના રથમાં બેસાડીને રથયાત્રા તેના રૂટ પર નીકળશે.  રથયાત્રાની  સાથે વર્ષોથી આવતી વડોદરાની ભાલત્રાસ મંડળી ડાકોરની ભાવસાર મંડળી વૈદ્યરાજ મંડળીઓ સાથે ડાકોરના કરતબ બાજો અને છાશ મગવૈઢા પાણીની   સેવાકીય સંસ્થાઓ  દ્વારા સેવાઓ પુરી પડાશે, રથયાત્રા ૮ કિલોમીટરના રૂટ પર નીકળશે. ઠાકોરજીની શાહી સવારી ગૌશાળા ત્રિકામજી મંદિર ભરતભુવન નરસિંહ ટેકરી રાધાકુંડ મોખાતલાવડી વાડફાર્મ રણછોડપુરા  કેવડેશ્વર મહાદેવ લક્ષ્મીજી મંદિર સત્યભામા થઈને રણછોડજી મંદિર પરત આવશે.

ત્યાં ઠાકોરજીની આરતી ઉતારવામાં આવશે પછી મંદિરમાં ગોપાલલાલજીને લઈને નિજ મંદિરમાં બિરાજમાન કરવામાં આવશે . અને પછી નિત્યક્રમ મુજબ મંદિરમાં ઠાકોરજીને ભોગ ધરાવવામાં આવશે . સખડીભોગ ઘરાવ્યાં બાદ પોઢાડી દેવામાં આવશે .આ રથયાત્રામાં ડાકોરની આસપાસના ગામડાઓ સહિત ગુજરાતભરમાંથી ડાકોરના ઠાકોરજીની રથયાત્રામાં શ્રદ્ધાળુઓ જોડાશે.  ૮ કિલોમીટર ચાલીને ગોમતી પ્રદક્ષિણા કરશે.