Get The App

ચામડીના દર્દીઓ કપિલેશ્વર મંદિરના તળાવમાં સ્નાનની બાધા રાખે છે

Updated: Sep 2nd, 2024

GS TEAM

Google News
Google News
ચામડીના દર્દીઓ કપિલેશ્વર મંદિરના તળાવમાં સ્નાનની બાધા રાખે છે 1 - image

- પીજના 1700 વર્ષ જૂના મંદિરે આજે મેળો ભરાશે

- 313 માં ધોળકાના રાજાએ સ્નાન કર્યા બાદ કોઢ દૂર થતા ખોદકામ કરાવ્યું અને સ્વયંભૂ શિવલિંગ મળ્યું

નડિયાદ : શ્રાવણ માસનો આવતી કાલે અંતિમ સોમવાર છે. ત્યારે ૧૭૦૦ વર્ષ જૂના પીજ ગામના કપિલેશ્વર મહાદેવના મંદિરના તળાવમાં નાહવાથી ચામડીના રોગ મટી જતા હોવાની વાયકાથી લોકો અહીં બાધા પૂરી કરવા હજારોની સંખ્યામાં દર્શન અને સ્નાન કરવા આવે છે. ત્યારે છેલ્લા સોમવારે મેળાનો માહોલ અહીં જામશે. 

આ મંદિરનો ઈતિહાસ એવો કંઈક છે કે, સવંત ૩૧૩માં પીજ ગામમાં કપિલ મુનિનો આશ્રમ હતો. અત્રે એક નાનકડુ તળાવ હતું અને પુલરત્ય ષિનો આશ્રમ હતો. તેમના નામ પરથી જ ગામનું નામ પીજ પડયુ છે. સવંત ૩૧૩માં અત્રે તે વખતના ધોળકાના રાજા ધંધુપાલ આવ્યા હતા. રાજા ધંધુપાલ અને તેમના ઘોડાને કોઢ થયેલો હતો. જેઓ અત્રેના નાનકડાં તળાવમાં નાહ્યા હતા અને તે બાદ બંનેને કોઢ મટી ગયો હતો. જેથી રાજા ધંધુપાલ પછીથી પોતાની સાથે બ્રાહ્મણોને લઈ અને આ આશ્રમ પાસે આવ્યા હતા. અત્રે આવેલા રાજાએ ત્યાં દૂધ ઝરી જતું હોવાનું જોયું હતું. જેથી રાજાએ ખોદકામ કરાવતા સ્વયંભૂ શિવલિંગ અને ગાયની ખરીઓ મળી આવી હતી. જેથી રાજાએ અત્રે સુંદર દેવાલય બનાવડાવ્યું હતું અને મંદિરનું નામ શ્રી કપિલેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું હતું. ૧૭૦૦ વર્ષ જૂના આ મંદિર પર ખીલજી વંશના સુલ્તાન અલ્લાઉદીન ખીલજીએ આ શિવાલયની મૂતઓને બહારથી ખંડિત કરી હતી. હાલ આરસનું કામ થવાથી તે ઢંકાઈ ગઈ છે. આ સિવાય સવંત ૧૫૨૫માં આગળનો ઘુમ્મટવાળો ભાગ બંધાવ્યો હતો. આ સિવાય વર્ષ ૧૯૯૨-૯૩માં શિવાલયનો જીર્ણોદ્ધાર કરાયો હતો. આ મંદિરના તળાવમાં નાહવાથી ચામડીના રોગો મટી જતા હોવાની વાયકાથી શ્રદ્ધાળુઓ અહીં નાહવાની બાધા રાખે છે. નડિયાદથી પાંચ કિ.મી. અંતરે આવેલા પીજના કપિલેશ્વર મહાદેવે શ્રાવણના અંતિમ સોમવારે મેળા જેવો માહોલ જામશે.

મહારાજા સયાજીરાવ ગાયકવાડે 75 વિઘા જમીન ભેટમાં આપી હતી

શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે ૭૫ વિઘા જમીન આ મંદિરને ભેટમાં આપી હતી. ઉપરાંત શિવાલયના ભગાકાર પર તાંબાનું પતરું મઢાવ્યું હતું અને અખંડ દીવા માટે ચોક્કસ રકમ પણ નિયમિત આપતા રહ્યા હતા.