ખેડા-આણંદમાં વરસાદી તારાજી : 2 નાં મોત
- રવિવારે રાત્રે 2 કલાક પડેલા વરસાદ અને વાવાઝોડાના કારણે ચરોતર પંથકમાં ભારે નુકશાન
- ગળતેશ્વર, માતરમાં 2 કલાકમાં 1 ઇંચ, નડિયાદમાં સવા ઇંચ વરસાદ : કઠલાલ, મહેમદાવાદ, ખેડામાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો, નડિયાદમાં પાણી ભરાયા
ધરોડા ગામે વીજળી પડતા ત્રણ ભેંસોના મોત થયા હતા. જ્યારે માતર તાલુકાના બરોડા ગામે વીજળી પડતા ૨૬થી વધુ ઘેટા-બકરાના પણ મોત નિપજ્યા હતા. આણંદ જિલ્લામાં ૨૧૦ જેટલા મકાનોને નુકશાન થયું હતું. બે પશુના પણ મોત થયા હતા. જ્યારે ખંભાતના ખટનાલ ગામે વીજળી પડતા એક વ્યક્તિને ગંભીર ઇજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ખેડા જિલ્લામાં રવિવારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. રાત્રે વિજળીના કડાકા અને ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જિલ્લાના ૧૦ તાલુકાઓમાં થઈને કુલ ૪.૨૧ ઇંચ કમોસમી વરસાદ ખાબક્યો હતો. નડિયાદમાં તો માત્ર બે કલાકમાં સવા ઈંચ વરસાદથી ઠેરઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. આ કમોસમી વરસાદના કારણે જિલ્લાના ખેડૂતોના જીવ અદ્ધર થઇ ગયા હતા. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં રવિવારે રાત્રે કમોસમી વરસાદ પડયો હતો. ભારે પવન અને વિજળીના કડાકા સાથે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જેઠ માસમાં અષાઢી માહોલ જોવા મળતાં ધરતીપુત્રો ચિંતિત બન્યા હતા. પાકને નુકસાન થવાની ભીતિને લઈને ખેડૂતોમાં ભારે ઉચાટ જોવા મળ્યો હતો. જિલ્લામાં રવિવારે રાત્રે ૮ થી ૧૦ વાગ્યાના અરસામાં ભારે પવન સાથે તોફાની વરસાદ વરસ્યો હતો. નડિયાદમાં ધોધમાર વરસાદના કારણે વાહનચાલકોને અવરજવરમાં ભારે તકલીફનો સામનો કરવો પડયો હતો. નગરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. શહેરના વાણિયાવાડ, મહાગુજરાત હોસ્પિટલ પાસે, કપડવંજ રોડ, ડભાણ રોડ, પીજ રોડ, સંતરામેશ્વર મહાદેવ પાસે, નેક્સસ નજીક, કોકરાણ હનુમાન મંદિર પાસે, કોલેજ રોડ, નાના કુંભનાથ રોડ, વી.કે.વી રોડ સહિતના વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઈ જતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદે વિરામ લીધા બાદ ધીરેધીરે પાણી ઓસરવાની શરૂઆત થઈ હતી. પરંતુ આ સામાન્ય માવઠાએ જ તંત્રની પ્રિ - મોન્સુનની કામગીરીની પોલ ખુલ્લી કરી દીધી હતી. ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાને કારણે ટ્રાફિકજામ સર્જાયો હોવા છતાં એક પણ પોઇન્ટ ઉપર પોલીસ કર્મચારીની નિયમન માટે હાજરી ન હતી. વાવાઝોડા સાથે વરસાદ વરસ્યા બાદ પાણી ભરાવાને કારણે અનેક વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ જવાને કારણે નગરજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ઘર ઉપરાંત સ્ટ્રીટ લાઈટો પણ બંધ થઇ જવાને કારણે ઘોર અંધારામાં પસાર થવામાં રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. માર્ગ ઉપર રખડતી ગાયો અને કુતરાઓને કારણે અકસ્માતના બનાવો પણ બન્યા હતા.
આ બાબતે ખેડા જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે, ચારથી પાંચ દિવસ સળંગ વરસાદ પડે તો જ ઉભા પાકને નુકસાન થાય. હાલમાં જિલ્લામાં બાજરી, ડાંગર, કેળ અને ઘાસચારો ઉભો છે, પરંતુ આટલા વરસાદથી તેને કોઈ નુકસાન થવાની શક્યતા નથી. વરસાદ બાદ તુરંત જ ઉઘાડ નીકળી જવાને કારણે પાકને નુકસાન થવાની હાલમાં સ્થિતિ નથી.
જિલ્લામાં કેટલું નુકસાન થયું ? એ ડિઝાસ્ટર વિભાગને ખબર જ નથી
ખેડા જિલ્લામાં રવિવારે રાત્રે તોફાની કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી હતી. જોકે, સૌથી આશ્ચર્યની વાત એ છે કે ૨૪ કલાક બાદ પણ જિલ્લામાં ડિઝાસ્ટર વિભાગની કચેરી પાસે નુકસાનીની કોઈ જ વિગત નથી. કેટલા વૃક્ષો ધરાશાયી થયા, વીજપોલ ધરાશાયી થયા છે કે કેમ ? અન્ય કોઈ નુકસાન થયું છે કે નહીં ? તે બાબતની કોઈ જ માહિતી ડિઝાસ્ટર વિભાગની કચેરીએ ઉપલબ્ધ નથી. રિપોર્ટ આવ્યો ન હોવાનું કહીને ડિઝાસ્ટર વિભાગ દ્વારા આ પરિસ્થિતિમાં પણ બેદરકારી દાખવવામાં આવી હોય તેવું જોવા મળી રહ્યું છે.
વીજળી પડવાથી 40 થી વધુ પશુઓનાં મોત
ખેડા જિલ્લાના માતર તાલુકામાં વાવાઝોડા એ ભારે તારાજી સર્જી હતી. તાલુકાના બરોડા ગામે વીજળી પડવાને કારણે ૪૦ થી વધુ ઘેટાં - બકરાના મોત નીપજ્યા હતા. આ ઉપરાંત અચ્છા મકાનના પતરા ઉડી ગયા હતા. અનેક વૃક્ષો અને વૃક્ષોના મસમોટા ડાળખાં તૂટી પડયા હતા. જિલ્લામાં સૌથી વધુ તારાજી માતર પંથકમાં જોવા મળી હતી.
ખેડા જિલ્લામાં રવિવારે રાત્રે 8 થી 10 દરમિયાન કયા તાલુકામાં કેટલો વરસાદ પડયો
- કઠલાલ ૧૨ મી.મી.
- કપડવંજ ૧ મી.મી.
- ખેડા ૧૨ મી.મી.
- ગળતેશ્વર ૫ મી.મી.
- ઠાસરા ૭ મી.મી.
- નડિયાદ ૩૦ મી.મી.
- મહુધા ૧ મી.મી.
- મહેમદાવાદ ૧૨ મી.મી.
- માતર ૨૩ મી.મી.
- વસો ૪ મી.મી.