- મોલ બહાર બેનર સાથે વિરોધ પ્રદર્શન
- 8 કલાકનો પગાર ચૂકવી 12 કલાક કામનું દબાણ બદલી કરી હાંકી કાઢવાના પ્રયાસનો આક્ષેપ
નડિયાદમાં સંતરામ રોડ પર વન સેન્ટર મોલમાં નડિયાદ ગ્રામ્ય વિસ્તારના કેટલાક યુવકો સેલ્સમેનથી માંડી અને અન્ય પોસ્ટ પર કપંની શરૂ થયાથી દોઢેક વર્ષથી કામ કરે છે. આ કંપનીમાં અગાઉ કર્મચારીઓને ૮ કલાકનો પગાર ચુકવી ૧૨ કલાક કામ કરાવાતું હતું. જે મામલે ત્રણેક કર્મચારીઓ દ્વારા મેનેજરથી માંડી કંપનીના માલિકોને રજૂઆતો કરાઈ હતી. જો કે, તેનું કોઈ નિરાકરણ આવ્યું ન હતું. તે સમયે કંપનીએ આ ત્રણ કર્મચારીઓને કાઢી મૂકવાનો નિર્ણય લીધો હતો. જેથી ત્રણેય કર્મચારીઓ અને કંપની વચ્ચે શ્રમઆયુક્તમાં કેસ ચાલી રહ્યો છે. આ વચ્ચે ઓપન વન મોલ દ્વારા અન્ય સાતેક કર્મચારીઓને પણ ૮ કલાકનો પગાર ચુકવી ૧૨ કલાક કામ કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. તો ઓપન વન મોલના મેનેજર દ્વારા અનએજ્યુકેટેડ કર્મચારીઓ હોવાનું કહી ખરાબ વર્તન કરી કંપની કહે તે મુજબ ઓવરટાઈમ કરવા જણાવ્યું હતું. જેની કર્મચારીઓએ ના પાડી દીધી હતી. જેથી કંપની દ્વારા આ જૂના કર્મચારીઓની સુરત બદલી કરી અન્ય નવા કર્મચારીઓની ભરતી શરૂ કરી દેવાઈ હતી.
આ મામલે હવે કર્મચારીઓ દ્વારા શ્રમ અધિકારીની પુનઃ અરજી કરી આજદીન સુધી કપંની દ્વારા કરાવાયેલા ઓવરટાઈમનું વેતન ચુકવી આપવાની માંગણી કરવામાં આવી છે. આ સાથે જ કર્મચારીઓ દ્વારા છેલ્લા બે દિવસથી ઓપન વન મોલની બહાર પ્લેકાર્ડ લઈ અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે.


