- ખુમારવાડની જમીનના વિવાદ મામલે ફરિયાદ નોંધવામાં આવી
- સરકાર દાખલ થયેલી જમીન હરાજીમાં ખરીદી હતી, જેના પર 6 ઈસમોએ કબજો કર્યો
આણંદના પ્રણામી મંદિર પાસે રહેતા મુકુંદભાઈ રામભાઈ પટેલે ખેડા ટાઉન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ૧૯૩૦ ની સાલમાં તેમના દાદા ચીમનભાઈ લલ્લુભાઈ પટેલ એન્જિનિયર તરીકે ખેડા કેમ્પમાં નોકરી કરતા હોવાથી વડીલો ખુમરવાડ ખાતે રહેતા હતા.
આ વખતે મુકુંદભાઈના દાદાએ ખુમરવાડ ગામમાં આશરે ૧૫૦ વીઘા જમીન વેચાણ રાખી હતી અને ખેતી કરતા હતા. બાદમાં વર્ષ ૧૯૮૫માં પરિવાર ઓડ ગામે રહેવા જતા આ જમીનના ભાગ પડયા હતા.
જેમાં મુકુંદભાઈના પરિવારના ભાગમાં આશરે ૭૦ વીઘા જમીન આવી હતી. જેમાં તેઓ ખેતી કરે છે.? આ જમીન પૈકીની ખુમારવાડા ગામની સીમમા ઢાંકણીપુરા રોડ ઉપર આવેલી ખાતા નંબર ૬૨૯ સર્વે બ્લોક નંબર ૩૨૧ / ૩૨૨ વાળી જમીન મુકુંદભાઈના વડીલોએ રણછોડભાઈ ધુળાભાઈ વાઘેલા, જેણાભાઈ ધુળાભાઈ વાઘેલા, ચંદુભાઈ ધુળાભાઈ વાઘેલા, કપિલાબેન રણછોડભાઈ વાઘેલા, સુમિત્રાબેન રણછોડભાઈ વાઘેલા, અને ભનીબેન ચંદુભાઈ વાઘેલાના વડીલોને ભાગેથી ખેતી કરવા માટે આપી હતી. આ જમીન પરત આપવા માટે વાઘેલા પરિવારના સભ્યો તૈયાર ન હોવાથી મુકુંદભાઈના વડીલોએ કૃષિ પંચ મહેમદાવાદ મામલતદાર કચેરીએ કેસ કર્યો હતો. બાદમાં આ જમીનની કૃષિ પંચ દ્વારા હરાજી કરવામાં આવતા મુકુંદભાઈએ હરાજીમાં જમીન વેચાણ રાખી હતી.
જમીનના ૭/૧૨ તથા ૮ અ માં મુકુંદભાઈનું નામ ચઢી ગયું હતું. જોકે, જમીન મુકુંદભાઈના નામે થયા બાદ પણ વાઘેલા પરિવાર જમીનનો કબજો સોંપતા ન હોવાથી આ બાબતે કલેકટર કચેરી ખાતે લેન્ડગ્રેબિંગ મામલે રજૂઆત કરવામાં આવી હતી . જેમાં તપાસના? અંતે કલેકટર કચેરી દ્વારા ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં જમીન બાબતે ફરિયાદ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જેને પગલે મુકુંદભાઈ રામાભાઇ પટેલ (રહે. આણંદ)એ? ખેડા ટાઉન પોલીસે રણછોડભાઈ ધુળાભાઈ વાઘેલા, જેણાભાઈ ધુળાભાઈ વાઘેલા, ચંદુભાઈ ધુળાભાઈ વાઘેલા, કપિલાબેન રણછોડભાઈ વાઘેલા, સુમિત્રાબેન રણછોડભાઈ વાઘેલા તથા ભનીબેન ચંદુભાઈ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.


