Get The App

નડિયાદની ભવન્સ સ્કૂલને આરટીઈ હેઠળ છાત્રોને પ્રવેશ ન આપતા નોટિસ

Updated: Aug 4th, 2021

GS TEAM


Google News
Google News
નડિયાદની ભવન્સ સ્કૂલને આરટીઈ હેઠળ છાત્રોને પ્રવેશ ન આપતા નોટિસ 1 - image


- શહેરની ખાનગી સ્કૂલને વિવાદો સાથે વર્ષો જુનો નાતો

- 7 વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ એડમિશન મળ્યું પણ શાળાએ પ્રવેશ ન આપતા વાલીઓમાં રોષ

નડિયાદ : નડિયાદની ભારતીય વિદ્યાભવન સ્કૂલને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. આ સ્કૂલ વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે. અગાઉ પણ આ સ્કૂલ દ્વારા આરટીઈ હેઠળ એડમિટકાર્ડ ધરાવતા હોવા છતાં ર્વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપ્યા હોવાના આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. નડિયાદની ભવન્સ સ્કૂલ વિદ્યાર્થીઓ માટે  નિયત નાસ્તા બાબતે  પણ વિવાદમાં રહી ચૂકી છે.

નડિયાદમાં આવેલ ભારતીય વિદ્યા ભવન્સ સંચાલિત શ્રીમતી એમ.કે.પટેલ પ્રાથમિક શાળા દ્વારા શહેરના સાતેક વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં ન આવતા વાલીઓએ શિક્ષણાધિકારીની કચેરીના દ્વાર ખખડાવ્યા હતા. કચેરી દ્વારા વાલીઓના ઘરની સ્થળતપાસ હાથ ધરીને તેમના વિદ્યાર્થીઓ પ્રવેશપાત્ર હોવાનું જણાવી તે સ્કૂલને એડમિશન આપવા સૂચન કર્યું છે. આમ છતાં સ્કૂલ દ્વારા એડમિશન આપવામાં નહીં આવે તો તે માટે સ્કૂલ જવાબદાર રહેશે તેવું શિક્ષણાધિકારીની નોટિસમાં જણાવવામાં આવ્યું છે. આ બાબતે વાલીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યો છે.

વાલીઓના જણાવ્યા મુજબ ભવન્સ સ્કૂલની એમ.કે. પટેલ પ્રાથમિક શાળામાં પ્રવેશ માટે જતાં તેમણે ઉગ્રતાથી જવાબ આપ્યો હતો કે તમને એડમિશન નહીં જ આપીએ. અમે વિનંતી કરી હોવા છતાં શાળા દ્વારા સ્પષ્ટ ના પાડી દેવામાં આવી હતી.

અન્ય એક વાલી ૩૦-૭-૨૧ના રોજ એડમિટ કાર્ડ લઈને સ્કૂલમાં તેની દીકરાના એડમિશન માટે ગયા હતા, ત્યારે સ્કૂલ દ્વારા તેમનું એડમિટ કાર્ડ જોઈને પરત આપી દેવામાં આવ્યું હતું. શહેરના કુલ ૭ વિદ્યાર્થીઓનું એડમિશન આરટીઈ હેઠળ આ સ્કૂલમાં થયેલું છે, તેમ છતાં સ્કૂલ દ્વારા તેમને પ્રવેશ ન અપાઈ રહ્યો હોવાથી વાલીઓ રોષે ભરાયા છે. આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આજે નોટિસ પાઠવીને ભવન્સ સ્કૂલને એડમિશન આપવા માટેની જરૂરી કામગીરી પૂરી કરવાની ચેતવણી આપવામાં આવી છે.

Tags :