Get The App

વિરપુરથી સરાડિયાને જોડતા બિસ્માર રોડ મામલે સ્થાનિકોનો ચક્કાજામ

Updated: Sep 10th, 2024

GS TEAM

Google News
Google News
વિરપુરથી સરાડિયાને જોડતા બિસ્માર રોડ મામલે સ્થાનિકોનો ચક્કાજામ 1 - image

- રોડ રિપેર નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી

- ભારે ટ્રાફિકજામ થતા પોલીસ દોડી આવી : ગ્રામ પંચાયતે ડસ્ટ પાથરી સંતોષ પૂરતું રસ્તાનું સમારકામ કર્યું

વિરપુર : વિરપુરથી સરાડિયાને જોડતા રસ્તા પર ઘણા સમયથી મોટા ખાડા પડવાના કારણે લોકો હેરાન- પરેશાન બન્યા છે. ત્યારે સોમવારે બિસ્માર રસ્તાથી કંટાળેલા સ્થાનિકોએ માર્ગ બ્લોક કરી દઈ તંત્ર વિરૂદ્ધ ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી ચક્કાજામ કર્યો હતો. બાદમાં પોલીસે ટ્રાફિકજામ હળવો કરવા સાથે ગ્રામ પંચાયતે રસ્તાનું સમારકામ શરૂ કર્યું હતું.

મહીસાગર જિલ્લાના વિરપુર ખાતે મિલ પાસેનો માર્ગ જિલ્લા મથક લુણાવાડાને જોડતો મુખ્ય માર્ગ છે. આ માર્ગ કેટલાય સમયથી ખાડાઓ અને કિચડથી ખખડધજ થઈ ચુક્યો છે. ચોમાસામાં આ રસ્તા પરથી ટુવ્હીલર વાહનચાલકોને પસાર થવું જોખમી બન્યું છે. આ ખાડાવાળા રસ્તે સરકારી હોસ્પિટલ અને સ્કૂલ આવેલી હોવાથી શાળાએ જતા આવતા બાળકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ માર્ગ પર ઈમરજન્સી સમયે મોતના કુવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામે છે. હાલના સમયમાં વરસાદના કારણે મસમોટા ખાડા પડી જવાથી આ રોડ બિસ્માર બન્યો છે. આ રસ્તા પરથી વીરપુરના અનેક અધિકારીઓ ગાડીમાં પસાર થતા હોય છે. છતાં કોઈ અધિકારી આ રસ્તાનું સમારકામ કરવાની તસ્દી સુધ્ધા લેતા નથી. ત્યારે ખાડાવાળા રસ્તાથી કંડાળેલા સરાડિયાના વાહનચાલકો અને અગ્રણીઓએ એક કલાક માટે રસ્તો બંધ કરી દેવા સાથે રસ્તો રિપેર નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. રસ્તો બ્લોક થઈ જતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. આ વાતની જાણ થતા વિરપુર પોલીસે સ્થળ પર પહોંચી રસ્તો ખુલ્લો કરાવી ટ્રાફિક હળવો કર્યો હતો. બાદમાં ગ્રામ પંચાયતે દર વખતની જેમ રસ્તા પર ડસ્ટ પાથરી જેસીબીની મદદથી રસ્તાની મરામત કરી સંતોષ પૂરતી કામગીરી કરી હતી.