- બે મંડળીમાં ગેરરીતિની ફરિયાદો બાદ પુરવઠા વિભાગની કાર્યવાહી
- કલાજી ગામના રેશનિંગના દુકાનદારને રૂપિયા 14,722 દંડ કરાયો 20 દુકાનોમાં ક્ષતિઓ પકડાતા દુકાનદારો સામે કાર્યવાહી કરાશે
કપડવંજ તાલુકાના કલાજી (સાવલીયા)માં પ્રભાતસિંહ ફુલસિંહ પરમાર સંચાલિત રેશનિંગ(પંડિત દીનદયાળ)ની દુકાનમાં જુન-૨૦૨૪ના રોજ તપાસણી એહવાલ મુજબ ક્ષતિઓ જણાઈ આવી હતી. જેમાં ગ્રાહકોને નિયમિત કુપનો આવતી નહોતી, તોલમાપ પ્રમાણપત્ર રીન્યુ કરાવેલું ન હતું, દુકાન નિયમિત ખોલવામાં આવતી ન હતી, નિયમિત વિતરણ કરવામાં આવતું ન હતું, ભાવ પત્રક તેમજ જથ્થો દર્શાવતું બોર્ડ લટકતું ન હતુ, સ્ટોક પત્રકમાં હિસાબ મળતા ન હતા, ફરીયાદ પેટી કે પ્લાસ્ટિકના ઝારમાં જથ્થાના નમુના રાખેલા ન હતા.
ઉપરાંત ૧૬૨.૫ કીલો ઘઉં, ચોખા ૬૧ કીલો, ખાંડ ૩.૫ કીલો ઘટ જણાઈ આવેલી. આ અહેવાલ જિલ્લા કક્ષાએ રજુ કરતા જિલ્લા પુરવઠા વિભાગે ન્યાયિક પ્રક્રિયાના અંતે કલાજીના રેશનિંગની દુકાનદારને ૧૪,૭૨૨ રૂપિયા દંડ ફટકાર્યો હતો.
ઉપરાંત વાધજીપુર સેવા સહકારી મંડળીની કુલ પુરવઠા અધિનિયમ વિરુદ્ધ કુલ સાત ક્ષતિઓ જણાતા સંપૂર્ણ ન્યાયિક પ્રક્રિયા બાદ ત્રીસ દિવસ માટે પરવાનો મોકુફ રાખવામાં આવ્યો છે.
અંદાજે બે મહિના અગાઉ કપડવંજ મામલતદાર તેમજ પુરવઠા અધિકારી દ્વારા રેગ્યુલર તપાસણી દરમિયાન ૧૫ જેટલા દુકાનદારોની નાની મોટી ક્ષતિઓનો એહવાલ જિલ્લા પુરવઠા અધિકારીને મોકલવામાં આવ્યો હતો.
જેની હાલ ન્યાયિક પ્રક્રિયા ચાલતી હોવાથી ન્યાયિક પ્રક્રિયાના અંતે કાર્યવાહી બહાર આવશે.
ઉપરાંત જિલ્લા પુરવઠાની ટીમે પણ તપાસણી કરતા ચાર જેટલા દુકાનદારોની ક્ષતિઓ પકડાઈ હતી. જેમાં સુણદા સેવા સહકારી મંડળી દ્વારા સુપ્રીમ કોર્ટેની ગાઈડ લાઈન દર્શાવેલ ન હતી, ઈ બિલમાં ગ્રાહકોની સહી મળતી આવતી નહોતી, તપાસણી દરમિયાન ઘઉં ૩૩૮ કિલો, ચોખા ૨૯૮ કિલો ઘટ તેમજ ખાંડ ૫,૩૫૦ કિ.ગ્રા. વધ જણાતા સંપૂર્ણ ન્યાયિક પ્રક્રિયાના અંતે ૩૦ દિવસ માટે તેનો પરવાનો પણ મોકુફ રાખવામાં આવ્યો છે.


