Get The App

તંત્રની ઢીલી કામગીરી, 22 લાખ ખર્ચવા છતાં બે વર્ષે પણ બ્રિજ ન બનતાં 30 ગામના લોકોને હાલાકી

Updated: Sep 4th, 2024

GS TEAM

Google News
Google News
તંત્રની ઢીલી કામગીરી, 22 લાખ ખર્ચવા છતાં બે વર્ષે પણ બ્રિજ ન બનતાં 30 ગામના લોકોને હાલાકી 1 - image

- તળાવ ઓવરફ્લો થતા ડાયવર્ઝનમાં પાણી ભરાયા

- વર્ષની મુદત છતાં સેવાલિયાની નીલમ કન્સ્ટ્રક્શનનું કામ અધુરૂ : નોટિસ ફટકારી હોવાનો તંત્રનો દાવો

ઠાસરા : ઠાસરા તાલુકાના ગુમાડિયા ગામે છેલ્લા બે વર્ષથી તળાવ નજીક પૂલ બનાવવાની કામગીરી ગોકળગતિએ ચાલી રહી છે. તાજેતરમાં તળાવ ઓવરફ્લો થતાં ડાયવર્ઝનમાં પાણી ફરી વળ્યા હતા. પરિણામે 30થી વધુ ગામોના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. 

ડાકોર માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા સેવાલિયાની નીલમ કન્સ્ટ્રક્શનને પૂલ બનાવવા માટે રૂ.22 લાખના ખર્ચે કામગીરી સોંપવામાં આવી હતી. એક વર્ષની સમયમર્યાદા હોવા છતાં બે વર્ષે પણ કામગીરી પૂર્ણ ન કરનાર એજન્સીને નોટિસ ફટકારી હોવાનો તંત્રએ દાવો કર્યો હતો.  

હાલમાં ભારે વરસાદને પગલે ગુમાડિયાનું તળાવ ઓવરફ્લો થતાં ત્યાં આપેલા ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા હતા. પરિણામે ઠાસરાથી ગુમાડિયા, વમૈલી, દાનિયાની મુવાડી, મરઘાકુઈ, કાલસર નેસ સહિતના તાલુકાના 30 જેટલા ગામોના વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. 

એજન્સીએ એક વર્ષમાં પૂલની કામગીરી પૂર્ણ કરવાની હતી, જેના બદલે બે વર્ષ થયા હોવા છતાં પૂલની કામગીરી પૂરી ન થતાં હજારો લોકોને દરરોજ મુશ્કેલી પડતી હોવાના આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યા હતા. આ અંગે ગ્રામજનોએ અનેકવખત મા.મ.વિભાગ ડાકોરમાં મૌખિક રજૂઆત કરી હોવા છતાં સ્થિતિ જૈસે થે હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. આ અંગે ડાકોર માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર પ્રતિક સોનીએ જણાવ્યું હતું કે, નીલમ કન્સ્ટ્રક્શનને નોટિસ ફટકારી છે. વરસાદ બંધ થયે પૂલની કામગીરી પંદર દિવસમાં પૂર્ણ કરવાની બાહેંધરી કોન્ટ્રાક્ટરે આપી હોવાનું જણાવ્યું હતું.