ઠાસરાના દેસાઈ મુવાડા પાસે ડાબી બાજુની સબ માઈનોરની પાળમાં ગાબડું પડયું
- ઠાસરા-વાડદ પર નાળા પાસે પાણીને વેડફાટ
- પાણીનો બગાડ થતો હોવાથી દેસાઈની મુવાડી તરફની સબમાઈનોરમાં બિલકુલ પાણી આવતું નથી
નડિયાદ, તા. 24 જુલાઈ 2020, શુક્રવાર
ઠાસરા તાલુકાના ફેરકુવાથી ઠાસરા નજીકમાં નર્મદા શેઢી શાખામાંથી ઠાસરા તાલુકાના દેસાઈની મુવાડા ગામ તરફ સબ માઈનોરમાંથી હાલ ખેડૂતોને ખેતીલાયક પાણી આપવામાં આવી રહ્યું છે. જ્યારે કોસમથી આવતા ડાબી બાજુ સબમાઈનોરની પાળમાં ગાબડું પડવાથી પાણી નકામું વહી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શેઢી શાખા સબ માઈનોર-૨નું પાણી છેલ્લા બે દિવસથી વેડફાઈ રહ્યું છે. જેમાં ઠાસરા-વાડદ રોડ પર નીચેથી પસાર થતી સબ માઈનોર-૨ના નાળા પાસે ગાબડું પડવાથી હજારો લાખો લીટર પાણી આટીઆઈના કાંસમાં વહી રહ્યું છે. ખેડૂતોના ખેતરમાં જવાને બદલે આ પાણી નકામું વહી જઈ રહ્યું છે. આ મુખ્ય રસ્તા નીચેથી ભૂંગળા નાખતા દેશાઈની મુવાડી તરફની સબમાઈનોરમાં બીલકુલ પાણી જતું નથી. અને કોસમથી આવતા ડાબી બાજુ નીલગીરીઓ તરફના કાંસમાં સબમાઈનોરની પાળમાં ભંગાણ પડવાથી પાણી ખેડૂતના ખેતરમાં જવાના બદલે કાંસમાં વેડફાઈ રહ્યું છે.
અગાઉ પણ ચાર મહિના પહેલા આ જગ્યાએ ગાબડું પડયું હતું. જેથી હજારો લીટરપાણી વેડફાઈ ગયું હતું.આ વખતે પણ તેનું પુનરાવર્તન થઈ રહ્યું છે અને પાણી કાંસમાં નકામું જઈ રહ્યું છે. આશરે ચાર મહિના પહેલા પડેલા ગાબડાનું સમારકામ ચાર નહિ થતાં એક જ જગ્યાએ ફરીથી ગાબડું પડીને હજારો લીટર પાણી નકામું વહી રહ્યું છે. શેઢી શાખા નર્મદા સબ માઈનોર- ૨ની દેખરેખ માટે કોઈ રણીધણી ન હોય એવું હાલ લાગી રહ્યું છે.