- સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બાંધકામ ચાલુ છે ત્યારે
- પહેલા વરસાદમાં જ તિરાડો પડતા 550 વિદ્યાર્થીઓના ભાવિ સામે જોખમ : તપાસની ગ્રામજનોએ માંગણી કરી
ઠાસરા તાલુકાના આશરે ૮,૦૦૦થી વધુ વસ્તીવાળા મોટા ગામ પીપલવાડાની પ્રાથમિક શાળામાં ધો. ૧થી ૮માં ૫૫૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે હાલ પીપલવાડા ગામમાં પંચવટી વિસ્તારમાં જૂની પ્રા.શાળામાં ભણે છે. ત્યારે ગામની ભાગોળે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સામે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત અંદાજે એક કરોડના ખર્ચે નવી શાળાનું બાંધકામ ચાલી રહ્યું છે. શાળાનું બિલ્ડિંગ હજૂ બની રહ્યું છે ત્યારે પહેલા વરસાદમાં જ મકાનમાં તિરાડો પડવાની શરૂ થઈ ગઈ છે. બીજી તરફ ગયા અઠવાડિયે ગામના ખેતરોના પાણી નવા બિલ્ડિંગની ચારે બાજુ એક ફૂટ સુધી ભરાઈ ગયા હતા.
ત્યારે ભવિષ્યમાં આ શાળાનું બિલ્ડિંગ કેટલું ટકશે અને અહીં ભણવા આવનાર બાળકોનું ભાવિ જોખમાશે તો જવાબદાર કોણ તેવા સવાલો ગ્રામજનોમાં ઉઠી રહ્યા છે. ત્યારે જે તે અધિકારી સ્થળ તપાસ કરી નવા મકાનના બાંધકામની ગુણવત્તા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે તેમજ સીમના પાણી ફરી ન વળે માટે બિલ્ડિંગના સામે મેદાનમાં માટી પૂરાણ કરાય તેવી ગ્રામજનોમાં માંગણી ઉઠી છે.


