ઉત્તરસંડા આઇટીઆઇમાં મુસ્લીમ વિદ્યાર્થીઓ ધાર્મિક પોશાક પહેરીને આવતા વિવાદ સર્જાયો
- મંગળવારે વીએચપીના કાર્યકરોએ આઇટીઆઇમાં જય શ્રી રામના નારા લગાવ્યા
- રજૂઆત બાદ પ્રિન્સિપાલે કમિટી બનાવી દશ દિવસમાં તપાસ કરી કાર્યવાહી કરવાની ખાત્રી આપી
મંગળવારે આ સંદર્ભે વીએચપીના કાર્યકરો દ્વારા આઈ.ટી.આઈ માં જય શ્રી રામના નારા સાથે ઇન્ચાર્જ પ્રિન્સિપાલને રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે તપાસ કરીને યોગ્ય પગલા લેવાની બાંહેધરી અપાતા મામલો થાળે પડયો હતો.
નડિયાદ તાલુકાના ઉત્તરસંડા આઈટીઆઈમાં કેટલાક મુસ્લીમ વિદ્યાર્થીઓ દ્વારા ધામક પોશાક પહેરી આવતા હોવાની ફરિયાદ હિન્દુ વિદ્યાર્થીઓએ આઈટીઆઈના શિક્ષકન કરી હતી. ત્યારે શિક્ષકે તે વિદ્યાર્થીઓને નકારી કાઢયા હતા. જેથી વિદ્યાર્થીઓએ વીએચપીના કાર્યકરોને જાણ કરતા ખેડા જિલ્લા વીએચપી મહામંત્રી ઈશ્વરદાન બારોટ તથા કાર્યકરો મંગળવારે મોટી સંખ્યામાં આઈ.ટી.આઈના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સચિન નકુમને રજૂઆત કરવા પહોંચી ગયા હતા.
વીએચપીના કાર્યકરોએ જય શ્રી રામના નારા સાથે આઈટીઆઈ માં પ્રવેશતા સમગ્ર વિસ્તારમાં તંગદિલી વ્યાપી જવા પામી હતી. વીએચપીના મહામંત્રીએ આઈ ટી આઈ ના ઇન્ચાર્જ પ્રિન્સિપાલને રજૂઆત કરતા જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન હોવા છતાં અહીંની આઈ.ટી.આઈ માં અભ્યાસ કરતા મુસ્લિમ ધર્મના લોકો ધામક પોશાક પહેરી આવે છે. તેઓને દર શુક્રવારે નમાજ પડવા માટે રજા આપવામાં આવે છે. અને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. જે સંદર્ભે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સચિન નકુમે જણાવેલ કે અમારી સંસ્થામાં આવું થતું નથી. પરંતુ આપની રજૂઆત મળતા અમે કમિટી બનાવી છે. દસ દિવસમાં તેનો રિપોર્ટ આવી જશે. જે રજૂઆત છે. તેની સીસીટીવી મારફતે અને માસ્ટર દ્વારા ચોક્કસપણે તપાસ કરી જવાબદાર સામે યોગ્ય પગલાં લેવાની બાંહેધરી આપી હતી.