Get The App

પેટલાદ પાલિકાને 4 તળાવોની જાળવણી કરવા કલેક્ટરની સૂચના

Updated: Jul 10th, 2024

GS TEAM

Google News
Google News
પેટલાદ પાલિકાને 4 તળાવોની જાળવણી કરવા કલેક્ટરની સૂચના 1 - image

- ભવિષ્યમાં સમસ્યા ન સર્જાય તે પહેલા ચેતવણી

- ધોબીકુંડ, પરમાણિયું, સિતા તેમજ મલાવ તળાવો ફરતે વૃક્ષો વાવવા, ઊંડા કરી તળિયે આરસીસી નહીં કરવા તાકિદ

પેટલાદ : પેટલાદ શહેરના જળસ્ત્રોત ગણાતા ચાર મુખ્ય તળાવોની યોગ્ય જાળવણી રાખવા જિલ્લા કલેક્ટરે પાલિકાને લેખિતમાં સૂચનાઓ આપી છે. ભવિષ્યમાં તળાવો નહીં રહેવાની સમસ્યા ન સર્જાય તે માટે તળાવ ફરતે જંગલી વૃક્ષો વાવવા, ઉંડા કરવા અને તળિયામાં આરસીસી ન કરવા સૂચના આપી છે.

પેટલાદ શહેરમાં મુખ્ય તળાવો વરસાદી પાણીના નિકાલ માટે એકબીજાથી જોડાયેલા છે. ત્યારે ભવાનીપુરા તરફથી આવતા કાંસના પાણીને ધોબીકુંડમાં અને ત્યાંથી પરમાણિયા તળાવ તરફથી સિતાતળાવ અને તેમાંથી મલાવતળાવમાં એમ વરસાદી પાણીનો નિકાલ થાય છે. જ્યાંથી જાખરીયા કાસથી શેખડી તરફ વળી ખંભાતના દરિયા તરફ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે છે. સમસ્યા એ છે કે, આ રૂટમાં અંડર ગ્રાઉન્ડ કાંસ કરતા શહેરમાં સાઈનાથ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહે છે. 

આણંદ જિલ્લા કલેકટર દ્વારા પેટલાદ નગરપાલિકા અને પ્રાત કચેરીને ઉદેશી લેખિતમાં સૂચના આપી છે કે, નગરના મુખ્ય તળાવ મલાવ તળાવ કે જેનું ક્ષેત્રફળ લગભગ ૨,૩૭,૦૦૦ સ્કવેર મીટરમાં ફેલાયેલું છે. તેની સાથે નગરના મુખ્ય ત્રણ તળાવો આવેલા છે. ભવિષ્યમાં તળાવ નહીં હોય અને  સમસ્યા સર્જાય તે પહેલા તેની ગંભીરતા લઈને પાણી જમીનમાં ઉતરે અને પીવાનું પાણી મળી રહે તેવા ઉદેશને લઈને તળાવને ફરતે જંગલી વૃક્ષ વાવવા, તળાવ ઊંડા કરવા અને રીડેવલપમેન્ટના ચાલી રહેલા કામમાં  તળિયાના કામમાં આરસીસી ન કરવા સૂચના આપી હતી. તમામ તળાવોને સરકારી ઉતારા પ્રમાણે માપણી કરી સંપૂર્ણ સુરક્ષિત કરવા નગરપાલિકાને સૂચનો મોકલ્યા છે.