- નેશનલ હાઈવે નંબર-48 પરનો બનાવ
- નોકરી પરથી છૂટી કણજરી પરત ફરતા સમયે અકસ્માત નડયો
કણજરીમાં રહેતા અલ્પેશ રણજીતભાઈ પરમાર અને સુનિલભાઈ જશુભાઈ પરમાર (ઉં.વ.૨૮) પોતાની નોકરી પરથી છુટી ખેડાથી બાઈક લઈ સોમવારે મોડીરાત્રે પરત ઘરે ફરી રહ્યા હતા. ત્યારે નેશનલ હાઈવે નં.૪૮ પર એશિયન ફૂડ્સ નજીક રોડ ઉપર ગાય આવતા બાઈક ચાલક સુનીલે બ્રેક મારતા બાઈક ગાય સાથે અથડાઈને સ્લીપ ખાઈ ગઈ હતી.
જેથી બંને યુવકો રસ્તા પર ફંગોળાતા બાઈકચાલક સુનિલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અંગે અલ્પેશે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં તેમણે સુનિલભાઈને મૃત જાહેર કર્યા હતા.
આ અંગેની જાણ થતાં નડિયાદ ગ્રામ્ય પોલીસ અને હાઈવે પેટ્રોલિંગ વાન આવી પહોંચી હતી અને પોલીસે અલ્પેશભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


