- વડથલ નહેર પરથી એસઓજીએ ઝડપ્યો
- કઠલાલ નજીક 4 નીલગાય ઉપર ફાયરિંગના બનાવમાં શખ્સની સંડોવણી હોવાની આશંકા
વડથલ ફલોલી તરફની નહેર ઉપર એક શંકાસ્પદ શખ્સ બાઈક સાથે ઉભો હોવાની બાતમી સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ ખેડાને નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મળી હતી. જેના આધારે એસઓજીએ શખ્સની અટક કરી પુછપરછ કરતા તે હુસેન મીરા નથવાણી ડફેર (રહે. રાજપુર, કલોલ, જિ. ગાંધીનગર, મુળ રહે. ધંધુકા, જિ. અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. તેની તલાશી લેતા એક હાથ બનાવટની દેશી જામગરી બંદૂક, ગોળ શિશાના છરા અને દારૂગોળો મળી આવ્યો હતો.
તેની પુછપરછમાં શખ્સ નિલગાયોનો શિકાર કરવા આવ્યો હોવાની જાણકારી બહાર આવી હતી. એસઓજીએ બંદૂક, મોબાઈલ, બાઈક સહિત રૂ. ૬૦,૦૭૦નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કઠલાલ તાલુકાના હદમાં મીનાવાડા તરફ મહી કેનાલ પાસે શુક્રવારે મોડી સાંજે ત્રણ નર અને એક માદા મળી ચાર નિલગાયો પર ફાયરિંગ કરીને શિકાર કરવામાં આવ્યું હતું. બનાવની જાણ થતાં કઠલાલ ફોરેસ્ટ વિભાગ અને સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જેથી એસઓજીએ બંદૂક સાથે પકડેલા શખ્સને કઠલાલમાં નીલગાય ઉપર ફાયરિંગની ઘટના સાથે કોઈ સંબંધ છે કે નહીં તે અંગે એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે.
3નીલગાયનાં શરીરમાંથી ગોળી નીકળી
કઠલાલ : નીલગાય પર ફાયરિંગની ઘટના અંગે કઠલાલના આરએફઓએ જણાવ્યું હતું કે, પીએમ રિપોર્ટમાં દરેક નીલગાયને ગોળી લાગી હોવાનું ખૂલ્યું હતું. જેમાં ત્રણ નીલગાયના શરીરમાંથી ગોળી નીકળી હતી. જ્યારે એકને ગોળી શરીરની આરપાર નીકળી ગઈ હોવાનું રિપોર્ટમાં ખૂલ્યું છે.


