Get The App

નવસારીમાં મહિલાની હત્યા કરીને વતન વડોદમાં શખ્સનો આપઘાત

Updated: Sep 11th, 2024

GS TEAM

Google News
Google News
નવસારીમાં મહિલાની હત્યા કરીને વતન વડોદમાં શખ્સનો આપઘાત 1 - image

- મહિલા આધેડ સાથે 4 વર્ષથી લીવ ઇનમાં રહેતી હતી 

- સુપા-કુરેલ ગામે રહેતું દંપતિ સફાઈ કામ માટે નવસારીમાં આવેલા ફાર્મ હાઉસ ખાતે ઘટનાના બે દિવસ અગાઉ ગયાં હતાં 

નવસારી,આણંદ : નવસારીના પૂર્વપટ્ટીમાં આવેલા ઉગત ગામના ફાર્મ હાઉસમાં મજૂરી કામ કરવા માટે આવેલી મહિલાની તીક્ષ્ણ હથિયારથી ૧૫થી વધુ ઘા ઝીંકી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે મહિલાના પતિને ફરાર જાહેર કરી તપાસ હાથ ધરેલી તપાસમાં આરોપી પતિએ વતન આણંદના વડોદ ગામે જઇ ગળે ફાંસો ખાઇ લીધો હોવાનું બહાર આવ્યું છે. મૃતક મહિલા તેની સાથે લીવ ઈનમાં રહેતી હતી.

નવસારીના ઉગત ગામથી ગોપાળા ગામ તરફના રસ્તે આવેલા શ્રી વરદાન ફાર્મહાઉસની દેખરેખની જવાબદારી માલિક પ્રકાશભાઈ શાહે નવસારીના ઘેલખડી ખાતે રહેતા જયપાલસિંહ ઉર્ફે મુન્ના વિજયભાનસિંહ (ઉં.વ. ૪૬)ને સોંપી છે. ત્રણ દિવસ પહેલા જયપાલસિંહનો ભાઈ સુશીલ ફાર્મ હાઉસ તેમજ મકાનની આજુબાજુ ઉગી નીકળેલા ઘાસની સફાઈ માટે નવસારીના સુપા-કુરેલ ગામે રહેતા ગણપતસિંહ રાયસિંહ પરમાર અને તેની સાથે લીવ ઈનમાં રહેતા પદમાબેનને લઈને આવ્યો હતો અને બંનેને કામ બતાવી બંને ભાઈ ઘરે નીકળી આવ્યા હતા. 

સોમવારે સાંજે બંને ફાર્મહાઉસ ખાતે પહોંચ્યા ત્યારે હોલમાં નીચે લોહીના ડાઘા પડેલા જોવા મળ્યા હતા, પંખાને ચાદર બાંધેલી હતી. લોહીના ડાઘા અંદરના રૂમના બાથરૂમ બાજુ જતા અંદરથી લાશની દુર્ગંધ આવતી હતી. તેમજ બાથરૂમમાં અંદર પદમાબેનની લાશ પડેલી હતી. કોઈ તીક્ષ્ણ ધારદાર હથિયારથી ૧૫થી વધુ ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. જેથી જયપાલસિંહ, સુશીલ અને બાજુના ફાર્મ હાઉસવાળો રખેવાળ બહાર નીકળી મહિલાના પતિ ગણપતને શોધવા લાગ્યા પણ તે મળ્યો ન હતો. આથી તેમણે નવસારી ગ્રામ્ય પોલીસને બનાવ અંગેની જાણકારી આપતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

 તા.૭ થી તા.૯ દરમિયાન ફાર્મ હાઉસ પર ખૂની ખેલ ખેલાયો હતો અને તે સમયે સફાઈકામ કરવા આવેલી પદમાબેન અને તેનો પતિ ગણપતસિંહ પરમાર એકલા હતા. નવસારી એલસીબીએ ગણપતની શોધખોળ હાથ ધરતા તે પોતાના વતન આણંદના વડોદ ગામે હોવાની બાતમી મળી હતી. જ્યાં તપાસ કરતા ગણપતસિંહે ગામ જઈને ગોપાલપુરા તાબે ડામરિયા સીમ વિસ્તારમાં ઝાડ સાથે કપડું બાંધી ફાંસો ખાઈ લીધો હતો. આ અંગે સ્થાનિક વાસદ પોલીસે મોતની નોંધ કરી હતી. જેથી મહિલાની હત્યા પાછળનું કારણ અકબંધ રહ્યું છે.

હત્યા કરનારો શખ્સ મહિલાનો ત્રીજો પતિ હોવાની ચર્ચા 

મૃતક પદમાબેન હળપતિ અને ગણપતસિંહ પરમાર છેલ્લા ચાર વર્ષથી લીવ-ઈનમાં રહેતા હતા. મહિલાના પહેલા પતિનું મોત થયા બાદ તે તેની બે પુત્રી સાથે રહેતી હતી. ત્યારબાદ ચાર વર્ષથી ગણપતસિંહ સાથે આંખો મળી જતા લીવ-ઈનમાં રહેતી હતી. ગણપતસિંહ તેનો ત્રીજો પતિ હોવાનું કહેવાય છે.