- ઈન્દિરાનગરીના લોકો શાળામાં રહેવા મજબૂર
- કાચા મકાનોને નુકસાન, ગટરના પાણી ભળતા રોગચાળો ફેલાવાના લીધે બાળકીને દાખલ કરાઈ
કણજરી શહેરમાં ઈન્દિરાનગરી વિસ્તારમાં વિચરતી-વિમુક્ત જાતિના કેટલાક પરીવારો વર્ષોથી માટી અને અન્ય સામગ્રીથી કાચા-પાકા મકાનો કરીને વસવાટ કરી પોતાનું ગુજરાન કરી રહ્યા છે. આ પરીવારો હવે ભારે વરસાદના કારણે મુસીબતમાં ફસાયા છે. ગોકુળ આઠમ વખતે પડેલો ભારે વરસાદ આ રહીશો માટે આફત બન્યો છે. વરસાદમાં આ પરીવારોના કેટલાક માટીના મકાનો ધ્વસ્ત થઈ ગયા અને કેટલાકના મકાનો સંપૂર્ણ તૂટવાના આરે આવી ગયા છે. આ મકાનોમાં દિવસો સુધી પાણી ભરાયેલા રહ્યા હતા. જે-તે સમયે વરસાદની સ્થિતિમાં ૨૫ ઉપરાંત પરીવારોના સભ્યોને નજીકની સરકારી શાળામાં સ્થળાંતર કરાવાયું હતું.
જો કે, ભારે વરસાદ પડયે આજે ૧૩ દિવસે પણ આ વિસ્તારમાંથી સંપૂર્ણપણે પાણીનો નિકાલ થયો નથી. તેમજ ઘરના દરવાજા સુધી પાણી ભરાયેલા છે. જેથી આ સ્થાનિકો પોતાના મકાનમાં રહેવા જઈ શકે તેવી સ્થિતિ નથી અને આજે પણ આ પરીવારોના બાળકોથી માંડી વૃદ્ધો સરકારી શાળામાં ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે. તો આ તરફ નગરપાલિકા પ્રશાસનથી માંડી જિલ્લા પ્રશાસન આ મામલે આ વિચરતી-વિમુક્ત જાતિની પરીસ્થિતિ જોવા પણ તૈયાર નથી. હાલ પાણી ભરાવાના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. એક બાળકી વાયરલમાં સપડાતા નડિયાદ એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં દાખલ છે, તો અન્ય કેટલાય લોકો પ્રાથમિક સારવાર લઈ ચૂક્યા છે. તો આવા સમયે આ પરીવારોના વ્હારે જિલ્લા પ્રશાસન દ્વારા ચોક્કસ સહાય મળે તેવી લાગણી વ્યાપી છે.
સરકાર મદદ કરે તેવી અપેક્ષાઃ સંજયભાઈ વાદી
૨૮ તારીખના ભારે વરસાદમાં અમારા મકાન પડી ગયા. અમને આ વરસાદમાં ખૂબ નુકસાન થયુ.અમને કોઈ જ સહાય મળી નથી. હજુ સુધી પાણી ભરાયેલા છે, અમને તંત્રમાંથી કોઈ મળવા આવ્યુ નથી. અમને સરકાર સહાય કરે તેવી વિનંતી છેઃ સંજયભાઈ વાદી, રહીશ


