Get The App

ચોરવાડ નજીક ખુલ્લા કુવામાં પડી જતા બે સિંહ બાળના મોત

- ચોરવાડ નજીકના જુનીયર પુરની સીમમાં ખુલ્લા કુવામાં પડી જવાથી બે સિંહબાળના મોત થયા

હજુ સિંહોના વસવાટ વિસ્તાર આસપાસ મોતનાં કૂવા યથાવત

Updated: Jul 1st, 2020

GS TEAM

Google News
Google News

ચોરવાડ નજીક ખુલ્લા કુવામાં પડી જતા બે સિંહ બાળના મોત 1 - image

છથી સાત માસના સિંહ બાળના કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવ્યા પાણીમાંથી તરતા મૃતદેહ


જૂનાગઢ, તા.૧ જુલાઈ, 2020, બુધવાર

માળીયા હાટીના તાલુકાના ચોરવાડ નજીક આળેલા જુજારપુરની સીમમાં ખુલ્લા કુવામાં પડી જવાથી બે સિંહબાળના મોત થયા હતાં. છથી સાત વર્ષના બંને સિંહબાળના કોહવાઈ ગયેલી હાલતમાં કુવામાંથી તરતા મૃતદેહ મળી આવ્યા હતાં. આ અંગે જાણ થતા વનતંત્રના સ્ટાફે જઈ બંને સિંહબાળના મૃતદેહને બહાર કાઢી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ માળીયા હાટીનાં તાલુકાના ચોરવાડ નજીકના જુજારપુર પંથકમાં સિંહોનો વસવાટ છે. અને સિંહણ તથા તેના બચ્ચા અવાર નવાર જુજારપુરની સીમ વિસ્તારમાં આંટા મારતા હતાં. પરંતુ છેલ્લા થોડા દિવસોથી બચ્ચા જોવા મળ્યા ન હતાં. આ દરમ્યાન આજે જુજારપુરની સીમમાં આવેલી વિપુલભાઈ ભીખાભાી વાઢેરના કુવામાં બે સિંહબાળ મૃત હાલતમાં મળી આવ્યા હતાં. અને પાણીમાં તરતા જોવા મળ્યા હતાં. આ અંગે વનતંત્રને જાણ કરવામાં આવતા વન વિભાગને સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો. અને છથી સાત માસના સિંહબાળના મૃતદેહને બહાર કાઢયા હતાં.

બંને સિંહબાળ પોતાની માતા સાથે આંટા મારતી વખતે ખુલ્લા કુવામાં પડી ગયા હોવાનુ ંઅનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. બંને સિંહબાળના મૃતદેહે કોહવાઈ ગયેલી હાલતમાં હોવાથી બે ચાર દિવસ પહેલા ખુલ્લા કુવામાં પડયા હોવાનું અનુમાન છે. બંને સિંહબાળે બહાર નીકળવા માટે તરફડીયા માર્યા હતાં. પરંતુ કુવામાં પાણી હોવાથી તેમાં ડૂબી ગયા હતાં અને બંનેના મોત થયા બાદ મૃતદેહ પાણીમાં તરતો મળ્યો હતો.

ગીર તેમજ રેવન્યુ વિસ્તારમાં જયાં જયાં સિંહોનો વસવાટ વિસ્તાર છે. તેવા વિસ્તારોમાં અનેક ખુલ્લા કુવાઓ સિંહ સહિતના વન્ય પ્રાણીઓ માટે જોખમી છે. વનતંત્ર દ્વારા ગીર તેમજ આસપાસનાં વિસ્તારોમાં ખુલ્લા કુવાઓને સંરક્ષીત કરાયાનો દાવો કરવામાં આવે છે. પરંતુ હજુ અનેક જોખમી ખુલ્લા કુવાઓ છે. આવા ખુલ્લા કુવાઓને પારાપેટ કરવામાં આવે એવી માંગ ઉઠી છે. 

Tags :