ગીરમાં સિંહ સંરક્ષણ માટે પ્રથમ વખત માલધારીઓ સાથે વનતંત્રે યોજી બેઠક
- સિંહોના મોતની ઘટનાઓના પગલે આખરે
- મલાધારીઓના પ્રશ્નોનાં નિરાકરણની વનતંત્રએ આપી ખાતરી, સિંહ અને ગીરને બચાવવા માટે માગ્યા સુચનો
જૂનાગઢ,તા.14 ડિસેમ્બર 2018, શુક્રવાર
ગીર જંગલ વિસ્તારમાં સિંહના સાચા રખેવાળ માલધારીઓ ગણાય છે. સિંહ તથા ગીરને બચાવવા અને સિંહ સંરક્ષણમાં માલધારીઓ મદદરૂપ બને તે માટે આજે વનતંત્રએ માલધારીઓ સાથે સંવાદ કર્યો હતો અને તેઓના પ્રશ્નોનું નિરાકરણ કરવા ખાતરી આપી હતી. તેમજ સિંહ અને ગીરને બચાવવા અંગે માલધારીઓ પાસેથી સુચનો માંગવામાં આવ્યા હતા.
વિસાવદર રેન્જના ખાંભડા થાણા ખાતે આજે ગીરના ઈતિહાસમાં પહેલી વાર વનતંત્ર અને ગીરમાં વસતા અને સિંહોના સાચા રખેવાળ ગણાતા માલધારીઓનું સ્નેહ મિલન યોજાયું હતું.
જેમાં નેશ વિસ્તારમાં રહેતા માલધારીઓ તથા વનતંત્રના સી.સી. એફ, ડી.સી.એફ.ઉપસ્થિત રહ્યા હતા. વનતંત્રના અધિકારીઓએ માલધારીઓને સિંહ સંરક્ષણમાં મદદ રૂપ થવા માટે માલધારીઓનો સહયોગ માંગ્યો હતો અને ગીર અને સિંહને બચાવવા અંગે સુચનો માંગ્યા હતા.
માલધારીઓ જંગલમાં રહેતા હોવાથી સિંહ સહિતના વન્ય પ્રાણીઓને કોઈ બીમારી કે કોઈ તકલીફ હોય તો વનતંત્રને જાણ કરતા હોય છે. આવી રીતે આ પ્રકારની માહીતી વનતંત્રને મળે છે. અને તે સિંહોેને બચાવવામાં મદદરૂપ થાય છે. માલધારીઓએ સિંહોને બચાવવામાં શક્ય તેટલી મદદ કરવા ખાતરી આપી હતી.
જ્યારે વનતંત્રએ માલધારી ઓના મસવાડી પાસ, વારસાઈ એન્ટ્રી, નેશ ફેરની હંગામી મંજૂરી સહિતના પ્રશ્નોનું વહેલુ નિરાકરણ થાય તે માટે ખાતરી આપી હતી. સી.સી.એફ.એ જણાવ્યું હતું કે વનતંત્ર અને માલધારીઓ એક સિક્કાની બે બાજુ છે. સિંહ અને ગીરને બચાવવા અંગે આ સંવાદ થયો તેનાથી આગામી સમયમાં સિંહ સંરક્ષણમાં મદદ મળશે.