જૂનાગઢના ઉપરકોટના કિલ્લાના રિસ્ટોરેશનનું મુખ્યમંત્રીના હસ્તે ઈ.ખાતમુર્હુત કરાશે.
- આગામી ૧૮ માસમાં કામગીરી પુરી કરવાનો દાવો
આજે જૂનાગઢના ઉપરકોટના રીસ્ટોરેશન કામનું ખાતમુર્હૂત
જૂનાગઢ, તા. ૧૫ જુલાઈ, ૨૦૨૦, બુધવાર
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના રિસ્ટોરેશન કામ માટે ૪૪.૪૬ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આવતીકાલે તા.૧૬ જુલાઈના મુખ્યમંત્રી દ્વારા ઉપરકોટના રિસ્ટોરેશન કામનું ઈ. ખાતમુર્હુત કરવામાં આવશે. આ કામગીરી ૧૮ મહિનામાં પૂર્ણ થશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. ૨,૭૨,૪૯૦ ચોરસવારમાં પથરાયેલી ઐતિહાસિક ધરોહરના મજબુતીકરણ માટે રૂા.૪૪.૪૬ કરોડ વપરાશે
જૂનાગઢમાં ઉપરકોટનો કિલ્લો ઈતિહાસ અને સંસ્કૃતિનું પ્રતિક છે. ૨,૭૨,૪૯૦ ચોરસવારમાં ફેલાયેલા ઉપરકોટમાં અડીકડી વાવ, અનાજ ભંડાર, નવઘણ કુવો, બુધ્ધ ગુફા સહિતના સ્થળો આવેલા છે. આ ઐતિહાસિક વિરાસતની જાળવણી માટે સરકાર દ્વારા ૪૪.૪૬ કરોડની રકમ ફાળવવામાં આવી છે. આવતીકાલે તા.૧૬ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઉપરકોટના રિસ્ટોરેશન, ડેવલપમેન્ટ કામનું ઈ.ખાતમુર્હુત કરવામાં આવશે. આ કામગીરીમાં અડી કડીવાવ, અનાજ ભંડાર, બગીચો, વોચટાવર, રાણક મહેલ, એમ્ફી થિએટર, બુધ્ધગુફા, બારૂદ ખાના, એન્ટ્રી અને એકઝીટ ગેટનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત પ્રવાસીઓ માટે ટોઈલેટ બ્લોક, બેન્ચ, પીવાના પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કામગીરી ૧૮ માસ એટલે કે દોઢ વર્ષમાં પૂર્ણ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવ ેતે સમયમાં પૂર્ણ થાય છે કે કેમ? તે જોવું રહ્યું. કિલ્લાની અંદર છેલ્લા થોડા વર્ષોથી ધાર્મિક દબાણો થઈ ગયા છે. આથી પુરાતત્વ વિભાગ તથા રેવન્યુ રેકર્ડ સાથે ખરાઈ કરી ગેરકાયદેસર બાંધકામ ગમે તે ધર્મના હોય તે દૂર કરવા પણ માંગ ઉઠી છે.