ડો.સુભાષ આયુર્વેદ હોસ્પિટલના માધ્યમથી દર્દીઓની સેવા થશે
જૂનાગઢમાં મુખ્યમંત્રીના હસ્તે આયુર્વેદ હોસ્પિટલનું લોકાર્પણ : મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખની ઔષધિતુલા કરવામાં આવી,આ ઔષધિઓનો કેમ્પ દરમ્યાન દર્દીઓ માટે ઉપયોગ થશે
જૂનાગઢ : જૂનાગઢના ખામધ્રોળ રોડ પર બનેલી ડો.સુભાષ આયુર્વેદ હોસ્પિટલનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખની ઔષધિતુલા કરવામાં આવી હતી. આ ઔષધીનો કેમ્પ દરમ્યાન દર્દીઓ માટે ઉપયોગ થશે.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ આયુર્વેદ હોસ્પિટલના માધ્યમથી દર્દીઓની સેવા થશે.
જૂનાગઢનાં ખામધ્રોળ રોડ પર ડો.સુભાષ એકેડમીના વાષકોત્સવ યોજાયો હતો.જેમાં આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે ડો.સુભાષ આયુર્વેદ હોસ્પિટલ અને અટલ રથનું લોકાર્પણ થયું હતું.લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પેથલજીભાઈએ પોતાની સંપતિનો ઉપયોગ સમાજને શિક્ષિત અને દિક્ષિત કરવા માટે કર્યો છે.તેમણે પ્રગટાવેલી શિક્ષણની જ્યોત જવાહરભાઈ આગળ ધપાવી રહયા છે.ડો.સુભાષ આયુર્વેદ જનરલ હોસ્પિટલ અને અટલ રથથી વિસ્તારના લોકોની સેવા થશે.પ્રદેશ ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે જવાહરભાઈ રાજ્યના ધારાસભ્યોમાં સૌથી વધુ સેવા કાર્યો સાથે જોડાયેલા છે.
આ પ્રસંગે આહીર સમાજના પ્રથમ આઈપીએસ વિવેક ભેડા, રાષ્ટ્રપતિ મેડલ પ્રાપ્ત કરનાર નારણભાઇ પંપાણીયા, જીપીએસસીમાં ઉત્તીર્ણ થનાર એકેડમીના વિદ્યાર્થી માધવીબેન હૂંબલ,ડો.અંકિત કાતરીયા અને સાત વર્ષની વયે ૧૨૫૦૦ ફૂટ કેદાર કાંઠા શિખર સર કરનાર મૃણાલ આંબલીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રીએ ખામધ્રોળ ચોકડી નજીક દાદા ભગવાન ફાઉન્ડેશન અડાલજ દ્વારા બનેલા ત્રિ મંદિર ખાતે દર્શન કર્યા હતા.
હોસ્પિટલમાં બાળરોગ, સ્ત્રીરોગ, પંચકર્મ સહિતની સુવિધા નિઃ શુલ્ક મળશે
ડો. સુભાષ આર્યુવેદ હોસ્પિટલમાં જનરલ વિભાગ,સર્જરી વિભાગ,બાળરોગ,ીરોગ, પંચકર્મ ,ઈમરજન્સી,એમ્બ્યુલન્સ, લેબોરેટરી અને બાળકો માટે સુવર્ણ પ્રાશનની સુવિધા સારવાર, દવા,અને નિદાન સહિતની સુવિધા નિઃશુલ્ક મળશે.જેમાં એમડી ડોક્ટરની સેવા આપશે.