ગુજરાતની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની 10 હજારથી વધુ જગ્યા ખાલી
બિલખા, તા.૯
ગુજરાત રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોની ભરતી છેલ્લા લાંબા સમયથી અટકી પડી હોવાથી હજારો બાળકો યોગ્ય અને પૂરતા શિક્ષણથી વંચિત થઈ રહ્યા હોવાથી તેમનું પણ અંધકારમય થવાની ભીતિ સેવાઈ રહી છે.
રાજ્યના નાબય મુખ્યમંત્રીએ સૌ પ્રથમ જાન્યુઆરી ૨૦૧૮માં શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હતી, એ જાહેરાતના ૨૩ માસ બાદ ફરીવાર તેમણે ડિસેમ્બર ૨૦૧૯માં ૭ હજારથી વધુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની અને ૩૨૦૦થી વધુ પ્રાથમિક શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હતી. જોકે બન્ને વખતની જાહેરાતો બાદ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી નહોતી.
પ્રવાસી શિક્ષકોને નામે સ્નાતકોની ભરતી, લાયકાત ધરાવનારા નવરાધૂપ
હાલમાં રાજ્ય સરકારે પ્રવાસી શિક્ષકોની ભરતી શરૂ કરી છે. જેની લઘુત્તમ લાયકાત સ્નાતક રાખવામાં આવી છે. એ કારણે એમએડ, બીએડ કરેલા હજારો ઉમેદવારોને ઘરે બેસીને ભરતીની માત્ર રાહ જોવાનો વારો આવ્યો છે.
જો પ્રવાસી શિક્ષકોના નામે સ્નાતકોની ભરતી થઈ શકતી હોય તો ટેટ કે ટાટ પાસ કરીને ઉચ્ચ મેરિટ ક્રમ ધરાવનારા ઉમેદવારોની ભરતી કેમ કરવામાં આવતી નથી? યોગ્ય લાયકાત ધરાનારા શિક્ષકોના શિક્ષણથી બાળકોને શા માટે વંચિત રાખવામાં આવે છે. એવા સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે.
આ અંગે જૂનાગઢના શિક્ષકોએ રાજ્યના પ્રવાસનમંત્રી મારફતે સરકારને આવેદનપત્ર પાઠવીને જુનમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવા માગણી ઉઠાવી છે.