Get The App

LRD ભરતીમાં એસ.ટી.નાં પ્રમાણપત્ર મુદ્દે પુત્રોને અન્યાય થતા પિતાનો આપઘાત

- છેલ્લા 15-20 દિવસથી પુત્રોને અન્યાય થતા રહેતા હતા તનાવમાં

- જૂનાગઢ સહાયક વિદ્યુત નિરીક્ષકની કચેરીમાં ફરજ બજાવતા પ્રૌઢે કચેરીમાં જ ગળેફાંસો ખાઈ લીધો જવાબદારો સામે પગલા લેવાની માંગ સાથે રબારી સમાજ દ્વારા મૃતદેહ સ્વીકારવા ઈન્કાર

Updated: Jan 17th, 2020

GS TEAM

Google News
Google News
LRD ભરતીમાં એસ.ટી.નાં પ્રમાણપત્ર મુદ્દે પુત્રોને અન્યાય થતા પિતાનો આપઘાત 1 - image


જૂનાગઢ, તા.17 જાન્યુઆરી 2020, શુક્રવાર

જૂનાગઢના વૃજવિહાર સોસાયટીમાં રહેતા અને બહુમાળી ભવનમાં સહાયક વિદ્યુત નિરીક્ષકની કચેરીમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા પ્રૌઢે આજે સવારે એલઆરડી ભરતીમાં એસ.ટી.ના પ્રમાણપત્ર મુદ્દે પોતાના બે પુત્રોને અન્યાય થતા કચેરીમાં જ પંખા સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. તેની પાસેથી સુસાઈડ નોટ પણ મળી હતી. જેમાં તેણે અધિકારીઓ- મંત્રીઓ વિરૂદ્ધ લખાણ કર્યું છે. આ બાબતે રબારી સમાજના લોકોએ જવાબદારો સામે પગલા લેવાની માંગ સાથે મૃતદેહ સ્વીકારવા ઈન્કાર કર્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના બિલખા રોડ પર આવેલા પીટીસી પાછળ વૃજવિહાર સોસાયટીમાં રહેતા અને સરદારબાગમાં આવેલા બહુમાળી ભવનમાં સહાયક વિદ્યુત નિરીક્ષકની કચેરીમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા મ્યાંજરભાઈ મુંજાભાઈ હુણ (ઉ.વ. ૪૯)ના પુત્ર રાજુ તથા સંજયે લોકરક્ષક દળની લેખિત તથા શારિરીક પરીક્ષા પાસ કરી હતી. બાદમાં અનુસુચિત જનજાતિના પ્રમાણપત્રની ખરાઈ માટે આદિ જાતિ વિકાસ કમિશનરની કચેરી ગાંધીનગરમાં પુરાવા રજૂ કર્યા હતા છતા ખરાઈ માટે કાર્યવાહી કરી ન હતી અને જાણ પણ કરી ન હતી. બાદમાં પાછળથી ૨૬-૧૧-૧૯ના વિજીલન્સ સેલના આધારે આદિજાતિ કમિશનરે પત્ર નં. ન.આ.વિ. સ/વિ.સ/ ૬૧ નં. ૪૦૪૯/ ૨૦૧૯/ ૩૪૦૬ તા. ૩૦-૧૨-૨૦૧૯થી રાજુ હુણ તથા સંજય હુણના ખોટા સરનામે નોટિસ મોકલી પુરાવા કરવા જણાવ્યું હતું અને પ્રમાણપત્ર રદ કરવા જણાવ્યું હતું. તમામ અધિકારો- પુરાવા રજૂ કરવા છતાં નોટિસ આપી ત્રાસ આપ્યો હતો.

આમ એલઆરડીની ભરતીમાં એસટીના પ્રમાણપત્ર મુદ્દે પુત્રોને અન્યાય થતા મ્યાંજરભાઈ હુણ છેલ્લા ૧૫-૨૦ દિવસથી તનાવમાં રહેતા હતા. આજે સવારે ૧૦ વાગ્યા આસપાસ મ્યાંજરભાઈ હુણે પોતે જે ઓફિસમાં ફરજ બજાવતા હતા તે સહાયક વિદ્યુત નિરીક્ષકની કચેરીમાં જ પંખા સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે જાણ થતા સી ડિવીઝન પોલીસ સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો. ત્યાંથી મ્યાંજરભાઈએ લખેલી સુસાઈડ નોટ મળી આવી હતી.

આ બનાવથી અરેરાટી વ્યાપી ગઈ હતી. મ્યાંજરભાઈએ સુસાઈડ નોટમાં જેના નામ લખ્યા છે. તે જવાબદારો સામે પગલા લેવામાં આવે એવી માંગ સાથે સિવીલ હોસ્પિટલ ખાતે રબારી સમાજના લોકો એકત્ર થયા હતા અને મૃતદેહ સ્વીકારવા ઈન્કાર કર્યો હતો.

આમ પુત્રોને એલઆરડી ભરતીમાં એસટીના પ્રમાણપત્ર મુદ્દે અન્યાય થતા પિતાએ જિંદગી ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અંગે સી ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :