- કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા રહેશે ઉપસ્થિત
અમદાવાદ, તા. 02 માર્ચ, 2022, બુધવાર
આગામી તા. 12મી માર્ચથી કેશોદ એરપોર્ટ પરથી કેશોદ-મુંબઇ ફ્લાઈટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ માટેના કાર્યક્રમમાં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ઉપસ્થિત રહેવાના છે. એરપોર્ટ પાસે હજું ફ્લાઈટ માટેનું ટાઈમટેબલ નથી આવ્યું પરંતુ દૈનિક ફ્લાઈટ હશે.
જૂનાગઢ જિલ્લામાં એકમાત્ર કેશોદ ખાતે એરપોર્ટ આવેલું છે પરંતુ ત્યાં છેલ્લા બે દાયકાથી વિમાની સેવાઓ બંધ હતી. વીઆઈપી લોકો આવે ત્યારે તેમના પ્લેનનું કેશોદ એરપોર્ટ પરથી ઉતરાણ, ઉડ્ડયન થતું હતું. છેલ્લા 4 વર્ષથી કેશોદ એરપોર્ટ પરથી 'ઉડાન' અંતર્ગત વિમાની સેવા શરૂ થવાની વાતો થઈ રહી હતી પરંતુ તે દિશામાં કોઈ નક્કર કાર્યવાહી નહોતી થઈ રહી. આખરે સરકારે બે દાયકાથી બંધ રહેલી વિમાની સેવા શરૂ કરવા નિર્ણય લીધો હતો.
નવાબે 460 એકર જગ્યામાં પોતાના માટે બનાવ્યું હતું એરપોર્ટ
જૂનાગઢના નવાબે કેશોદમાં 460 એકર જગ્યામાં પોતાના પ્લેન માટે એરપોર્ટ બનાવ્યું હતું. બાદમાં 1980માં સરકાર દ્વારા તેનું રિનોવેશન કરાયું હતું અને 2000ના વર્ષ સુધી વિમાન સેવા ચાલુ રહી હતી. ત્યારથી વિમાનસેવા બંધ હતી જે 23 માર્ચ, 2020ના રોજ કેશોદ-અમદાવાદ સેવા દ્વારા ફરી શરૂ થઈ હતી.


