આજે ઝવેરચંદ મેઘાણીની જયંતિ નિમિત્તે કસુંબીનો રંગ ઉત્સવ યોજાશે
- જૂનાગઢના ટાઉનહોલ ખાતે કાર્યક્રમ યોજાશે
- ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન ઉપરની દસ્તાવેજી ફિલ્મ તેમજ ગીતો રજૂ થશે
તા. 28 ઓગષ્ટના 125મી જન્મ જયંતિ
જૂનાગઢ, : જૂનાગઢ વહિવટી તંત્ર દ્વારા આવતીકાલે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જયંતિ નિમિત્તે ટાઉનહોલ ખાતે કસુંબીનો રંગ ઉત્સવ યોજાશે. જેમાં ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન ઉપરની દસ્તાવેજી ફિલ્મ તેમજ ગીતો રજૂ થશે.
ગીરના નેસ-ડુંગરાળ વિસ્તારમાંથી લોક સાહિત્યને શોધી પોતાની કલમથી લોકો સુધી પહોંચાડનાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આવતીકાલે તા. ૨૮ ઓગષ્ટના ૧૨૫મી જન્મ જયંતિ છે. મેઘાણી રચિત ચારણકન્યા, શિવાજીનું હાલરડું, કસુંબીનો રંગ જેવી અનેક રચનાઓ આજે પણ લોકોના દિલો દિમાગમાં છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જયંતિ નિમિત્તે આવતીકાલે તા. ૨૮ના સવારે ૧૦-૩૦ વાગ્યે જૂનાગઢના શામળદાસ ગાંધી ટાુનહોલ ખાતે કસુંબીનો રંગ ઉત્સવ યોજાશે. જેમાં ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન પરની દસ્તાવેજી ફિલ્મ બતાવવામાં આવશે. તેમજ મેઘાણી રચિત ગીતો રજૂ થશે. તેમજ મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ તથા સાંસદ સહિતનાઓના હસ્તે મેઘાણીના પુસ્તકોનું ગ્રંથાલયમાં વિતરણ કરવામાં આવશે.