જુનાગઢ: વિસાવદર પાસે ખાનગી બસ પલ્ટી જતા 3ના મોત, ડ્રાઈવર નશામાં હોવાનો આરોપ
અમદાવાદ, તા. 11 જાન્યુઆરી 2020, શનિવાર
જૂનાગઢના વિસાવદરના લાલપુર વેકરીયા નજીક એક પ્રાઈવેટ બસ પલ્ટી જતાં 3ના મોત થયા છે. જયારે 20થી 25 લોકોને ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. બસમાં 50થી વધારે લોકો સવાર હતા. સાવરકુંડલાથી બસ જૂનાગઢ તરફ જઈ રહી હતી. લોકોનો આક્ષેપ છે કે, બસચાલકે નશો કર્યો હતો અને નશાની હાલતમાં સ્ટિયરિંગ પર કાબુ ના રહેતા અકસ્માત સર્જાયો છે. મુસાફરો પણ આક્ષેપ કરી રહ્યા છે કે, બસ ચાલક બેદરકારીથી બસ ચલાવી રહ્યો હતો.
આ ખાનગી બસ સાવરકુંડલાથી જૂનાગઢ તરફ જઈ રહી હતી ત્યારે બસ વિસાવદર-ધારી રોડ પર આવેલા લાલપુર નજીકથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 22થી વધુ લોકોને ઈજા પહોંચી છે. આ અકસ્માતની જાણ થતા પોલીસના કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલ અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.