જૂનાગઢ યાર્ડમાં સારી મગફળીની ખરીદી બાદ બદલાવી નબળી મગફળી ધાબડી દેવાનું કૌભાંડ
- ટેકાના ભાવે થતી મગફળી ખરીદીમાં ફરી ગેરરીતિ
- ખેડૂતોની જરાક નબળી મગફળી હોય તો રિજેક્ટ થાય છે ત્યારે નબળી ગુણવતાવાળી મગફળી ક્યાંથી આવી ગઈ તે અંગે ઉઠતા સવાલો
જૂનાગઢ, તા. 31 જાન્યુઆરી 2020, શુક્રવાર
જૂનાગઢ યાર્ડમાં ટેકાના ભાવે થતી મગફળી ખરીદીમાં ફરી વખત ગેરરિતી સામે આવી છે. ગઈકાલે નબળી ગુણવતા ધરાવતી ૧૫૬ ગુણી મગફળી સીઝ કરવામાં આવી હતી. ખેડૂતોની સારી મગફળી ખરીદ કર્યા બાદ તેને બદલાવી તેની જગ્યાએ નબળી મગફળી ધાબડી દેવાનું કૌભાંડ બહાર આવ્યું છે. ખેડૂતોની જરાક નબળી મગફળી રિજેક્ટ થાય છે તો આ નબળી મગફળી ક્યાંથી આવી? તે અંગે અનેક સવાલ ઉઠી રહ્યા છે.
જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીના કેન્દ્ર પર નબળી મગફળી તથા ઓછા વજનની બોરી હોવાની ફરિયાદના આધારે ગઈકાલે કિસાન કોંગ્રેસ તથા કિસાન ક્રાંતિ ટ્રસ્ટના આગેવાનોએ યાર્ડમાં તપાસ કરતા મગફળીનો જથ્થો નબળો તથા બોરીમાં ઓછી મગફળી હોવાનું સામે આવ્યું હતું.
બાદમાં ખેડૂત સંગઠનના આગેવાનોએ અધકારીઓને જાણ કરી હતી. ત્યારબાદ રોજકામ કરાવી ૧૫૬ બોરી મગફળીનો જથ્થો સીઝ કરાવ્યો હતો. આજે સવારે આ મગફળીના જથ્થાને પુરવઠા નિગમના ગોડાઉનમાં રાખી સીલ કરવામાં આવી હતી.
યાર્ડમાં મગફળીનો અન્ય જથ્થો હતો. તેમાં તપાસ કરતા તેમાંથી પણ નબળો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો પણ નબળો હોવાનું સામે આવતા પુરવઠા નિગમના અધિકારી ત્યાં પહોંચ્યા હતા અને તેણે પણ મગફળીનો જથ્થો નબળો હોવાનું અને કોઈ ગેરરિતી થઈ હોવાની બાબતનો સ્વીકાર કર્યો હતો.
ખેડૂત ટેકાના ભાવે મગફળી વેંચવા આવે ત્યારે મગફળીની ચકાસણી થાય છે. તેમાં જરાક નબળી મગફળી હોય તો તેને રિજેક્ટ કરવામાં આવે છે ત્યારે આ નબળી મગફળીનો જથ્થો કેમ ખરીદ થયો એ અંગે અનેક સવાલ ઉઠી રહ્યા છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ ખેડૂતોની સારી મગફળીની ખરીદી થઈ ગયા બાદ તે મગફળી બદલાવી તેની જગ્યાએ નબળી ગુણવતા ધરાવતી મગફળી ધાબડી દેવાનું આ કૌભાંડ છે. હવે તેમાં કોણ કોણ સામેલ છે? તે અંગે તપાસ કમિટી તપાસ કરાશે.
આ અંગે જિલ્લા પુરવઠા નિગમના મામલતદાર એમ.એસ. ભગોરાએ જણાવ્યું હતું કે મગફળીનો નબળો જથ્થો મળ્યો છે તે બદલાવી હોવાની શક્યતા છે. આ મામલે જિલ્લા પુરવઠા અધિકારીના અધ્યક્ષ સ્થાને તપાસ કમિટી બનાવી તપાસ કરવામાં આવશે. જેના રિપોર્ટના આધારે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.
દર વર્ષે મગફળી ખરીદીમાં થાય છે વ્યાપક ગેરરિતી
જૂનાગઢ જિલ્લામાં દર વર્ષે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગેરરિતી સામે આવે છે. કેશોદ, જૂનાગઢ વિસાવદર યાર્ડમાં અગાઉ થયેલી ખરીદી વખતે નબળી મગફળી ધાબડી દેવામાં આવી હતી.
ખેડૂત નજર સામે સિલાઈ કરેલી બોરીઓ ખુલ્લી મળી
ગત તા. ૨૭ના એક ખેડૂતની મગફળીની ટેકાના ભાવે ખરીદી કર્યા બાદ ખેડૂતની નજર સામે નંબર લખી બોરીને સિલાઈ કરવામાં આવી હતી. આજે આ મગફળીની બોરી ખુલ્લી જોવા મળી હતી. જેથી અનેક સવાલ સર્જાયા છે.
મગફળી નબળી હોવા છતાં હવે થશે તપાસના નામે ડિંડક
મગફળીનો ૧૫૬ બોરી જથ્થો સીઝ કરાયો છે. તે ઓછા વજનનો અને નબળી ગુણવતા ધરાવતો છે. આ જથ્થો નબળો છે તેવું અંધ માણસ પણ કહી શકે તેમ છે. છતા તંત્ર દ્વારા તપાસના નામે ડિંડક કરી સમય પસાર કરવામાં આવશે.