દવા, કરિયાણું, શાકભાજીના વેપારીઓ અને ડેરી માર્ટસને પ્રતિબંધમાંથી મુકિત
- જૂનાગઢ જિલ્લા કલેકટરે જાહેરનામાંમાં કર્યો સુધારો
- જિલ્લા પંચાયત હસ્તકના ઈ-ગ્રામ કેન્દ્રો તા.31 માર્ચ સુધી બંધ,કનકાઈ તથા બાણેજ મંદિરે યાત્રાળુઓને જવા પર પણ તા.31 સુધી પ્રતિબંધ
જૂનાગઢ,તા. 21 માર્ચ 2020, શનિવાર
જૂનાગઢ જિલ્લામાં ગઈ કાલે ૧૪૪મી કલમ લાગુ કરવામાં આવી હતી.આ અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ હતું. આજે જિલ્લા કલેકટરે સુધારા જાહેરનામુ પ્રસિદ્ધ કરી જિલ્લામાં મેડીકલ સ્ટોર, કરિયાણા ડેરી તથા શાકભાજીના વેપારી ઓને પ્રતિબંધમાંથી મુકિત આપી છે.પરંતુ ચારથી વધુ વ્યકિત એકત્ર ન થાય તેની તકેદારી રાખવા જણાવ્યું છે.
કોરોના વાઈરસના સંક્રમણને નિવારવા માટે ગઈ કાલે જૂનાગઢ જિલ્લા કલેકટરે જાહેરનામુ પ્રસિદ્ધ કયું હતું.જેમાં પાનના ગલ્લા ચાની લારી ખાતે ચાર વ્યકિતને એકત્ર થવા પર પ્રતિબંધ મુકયો હતો. આજે કલેકટર ડો.સૌરભ પારધીએ સુધારા જાહેરનામુ પ્રસિદ્ધ કરી ચા-પાનના ગલ્લા બંધ રાખવા જણાવ્યું છે.
આ ઉપરાંત મેડીકલ સ્ટોર, સજીઁ કલ સ્ટોર, અનાજ કરિયાણાની દુકાનો,દુધની ડેરીઓ તેમજ શાકભાજીના ધંધાર્થીઓને પ્રતિબંધ માંથી મુકિત આપવામાં આવી છે. પરંતુ ચાર વ્યકિત એકત્ર ન થાય તેની તકેદારી રાખવા સુચના આપી છે.
જયારે જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરીએ જિ.પં.હસ્તકના ઈ-ગ્રામ કેન્દ્રો આગામી ૩૧ માર્ચ સુધી બંધ રાખવા સુચના આપી છે.
ગીર જંગલમાં આવેલા કનકાઈ તથા બાણેજ મંદિર ખાતે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે.કોરોનાના સંકુમણના પગલે વનવિભાગે તા.૩૧ માર્ચ સુધી યાત્રિકોને આ બંને સ્થળે જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.તા.૩૧ સુધી વનતંત્ર દ્વારા ગીર અભયારણ્યમાં જવા માટે પરમિટ આપવામાં નહી આવે.