'દુષ્કર્મનાં આરોપીઓને ફાંસી આપો' જૂનાગઢમાં વિદ્યાર્થીઓ દ્વારા રેલી
- હૈદ્રાબાદમાં તબીબ તથા રાજકોટમાં બાળકી પરના
- વિકૃત માનસિકતા ધરાવતા હેવાનોને સખતમાં સખત સજા થાય એવી માંગ સાથે કલેકટરને કરી રજૂઆત
જૂનાગઢ, તા. 05 ડિસેમ્બર 2019, ગુરુવાર
તાજેતરમાં હૈદ્રાબાદના મહિલા તબીબ તથા રાજકોટમાં બાળકી પર દુષ્કર્મની ઘટનાથી ભારે આક્રોશ ફેલાયો છે. આવા હેવાનોને ફાંસીની સજા આપવાની માંગ સાથે આજે જૂનાગઢમાં વિદ્યાર્થીઓએ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
હૈદ્રાબાદમાં મહિલા તબીબ પર દુષ્કર્મ આચરી તેની સાથે બર્બરતાપૂર્વકનું કૃત્ય કર્યું હતું. જ્યારે રાજકોટમાં આઠ વર્ષની બાળકી પર નશાખોર નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાઓથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આવા હેવાનોમાં ડર પ્રસરે અને આવી ઘટનાઓ બનતી અટકે એ માટે આજે જૂનાગઢમાં વિદ્યાર્થીઓએ દુષ્કર્મ કરનાર નરાધમોને ફાંસીએ લટકાવવાની માંગ સાથે રેલી યોજી હતી. આઝાદ ચોકથી કાળવા ચોક, મોતીબાગ થઈ કલેકટર સુધી યોજાયેલી રેલીમાં વિવિધ કોલેજના મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો જોડાયા હતા.
આ રેલી કલેકટર કચેરીએ પહોંચી હતી. જ્યાં વિકૃત માનસિકતા ધરાવતા હેવાનોને સખતમાં સખત સજા થાય એવો કાયદો બનાવવામાં આવે એવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું.