કેશોદની બજારોમાં ઉમટી પડી લોકોની ભીડ, સોશીયલ ડિસ્ટન્સ ઉડયા લીરા
- સવારે ૮ થી ૧૨ વાગ્યા સુધીમાં લોકડાઉનના સમયમાં છૂટછાટ દરમ્યાન
- ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવી પહોંચ્યા
જૂનાગઢ, તા. 27 એપ્રિલ, 2020 સોમવાર
જૂનાગઢ જિલ્લામાં સવારે ૮ થી ૧૨ દરમ્યાન લેાકડાઉનના સમયમાં છૂટછાટ આપવામાં આવી છે. આજે સવારે કેશોદની બજારોમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઊમટી પડી હતી અને સોશીયલ ડિસ્ટન્સના લીરા ઊડયા હતા. ગ્રામ્ય વિસ્તારના લોકો પણ ખરીદી કરવા આવી પહોંચતા તંત્ર પણ લાચાર બન્યું હતું.
કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે હાલ લોકડાઉન અમલમાં છે. જૂનાગઢ જિલ્લામાં લોકડાઉન દરમ્યાન સવારે ૮ થી ૧૨ દરમ્યાન છૂટછાટ આપવામાં આવી છે. બે દિવસથી સરકારે આવશ્યક ન હોય તેવી ચીજવસ્તુની દુકાન ખુલ્લી રાખવા મંજૂરી આપી છે. જેના લીધે અસમંજસ ઊભી થઈ છે.
આજે સવારે ૮ થી ૧૨ દરમ્યાન જૂનાગઢ જિલ્લામાં લોકડાઉનની છૂટનાં સમયમાં કેશોદમાં વેરાવળ રોડ, માંગરોળ રોડ, મસાલા બજાર, શાકમાર્કેટ, સ્ટેશન રોડ સહિતનાં વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડયા હતા અને સોશીયલ ડિસ્ટન્સના લીરા ઊડયા હતા.
હાલ મસાલાની સિઝન ચાલી રહી છે. આથી ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ખરીદી માટે આવી પહોંચતા કેશોદમાં લોકડાઉનની છૂટછાટના સમયમાં લોકમેળા જેવી સ્થિતિ થઈ હતી અને તંત્ર પણ લાચાર થઈ ગયું હતું.