ભેસાણ કન્ટેનમેન્ટ ઝોન હેઠળ હોવાથી પાક ધિરાણની કામગીરી સ્થગિત
- ધિરાણ ભરવાની મુદ્દત વધારવા માગણી: તાલુકા ભાજપ પ્રમુખે મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રીને પાઠવ્યો પત્ર
ભેસાણ, તા. 18 મે 2020, સોમવાર
ભેસાણ શહેર અને તાલુકાના અન્ય 6 ગામ કન્ટેનમેન્ટ તથા બફર ઝોન હેઠળ હોવાથી પાકધિરાણ ભરવાની કામગીરી ખોરવાઈ છે. એની મુદ્દત 31 મેથી વધારી આપવા માટે તાલુકાના ખેડૂતોમાંથી માગણી ઊઠી છે.
કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીને ધ્યાને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પાક ધિરાણ ભરવાની મુદ્દત માટે તા.31 મે સુધી છૂટછાટ આપી હતી. પરંતુ ભેસાણમાં તા.૫ના રોજ કોરોનાના બે કેસ પોઝિટિવ આવેલા હોવાથી તંત્ર દ્વારા તા. 31 સુધી ભેસાણને કન્ટેનમેન્ટ ઝોન અને અન્ય 6 ગામ બફર ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
જેથી પાક ધિરાણની કામગીરી સ્થગિત કરવી પડી છે. માટે પાક ધિરાણ ભરવા તેમ જ ઉપાડવા માટેની મુદ્દત વધારીને લંબાવવી એ અતિ આવશ્યક બની છે. સત્વરે ખેડૂતોના હિતને ધ્યાને લઈને મુદ્દત વધારવામાં આવે એવી માગણી સાથે તાલુકા ભાજપ પ્રમુખે મુખ્યમંત્રી તથા ઉપમુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે.