જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં આગામી સપ્તાહથી થઇ શકશે કોરોનાના ટેસ્ટ
- સરકારે લેબ માટેની સાધન સામગ્રી, કિટ માટે આપી સુચના
- હાલ કોરોનાના ટેસ્ટ માટે સેમ્પલ ભાવનગર લેબમાં મોકલવા પડતા હોવાથી સમય અને ટ્રાન્સપોર્ટેશનનો થાય છે વધુ ખર્ચ
જૂનાગઢ,02 જુન 2020 મંગળવાર
જૂનાગઢ જિલ્લામાં શંકાસ્પદ દર્દીના સેમ્પલ કોરોનાના ટેસ્ટ માટે ભાવનગર મોકલવા પડે છે. તેમાં સમય લાગે છે અને ટ્રાન્સપોર્ટેશનનો પણ ખર્ચ થાય છે. આ અંગે રજૂઆત થતા સરકારે જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં લેબ માટેની સાધન સામગ્રી અને કિટ સહિતની વ્યવસ્થા કરવા સુચના આપી છે. આગામી સપ્તાહથી જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાંજ કોરોનાનો ટેસ્ટ થઇ શકશે.
જૂનાગઢ જિલ્લામાંથી શંકાસ્પદ લક્ષણ ધરાવતા દર્દીના આરોગ્ય તંત્ર દ્વારા સેમ્પલ લેવામાં આવે છે. તેનો કોરોના ટેસ્ટ કરવા માટે સેમ્પલ ભાવનગર સરકારી મેડિકલ કોલેજના માઇક્રો બાયોલોજી ડિપાર્ટમેન્ટની વી.આર.ડી.એલ. લેબમાં મોકલવામાં આવે છે. ત્યાંથી તેનો મેલ દ્વારા રિપોર્ટ મોકલવામાં આવે છે.
સેમ્પલ ભાવનગર મોકલવામાં આવતા હોવાથી સમયનો વધુ વ્યય થાય છે. આ અંગે જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજના એપીકલ કમિટીના મેમ્બર અને ભાજપના અગ્રણી પ્રદિપભાઇ ખીમાણીએ રજૂઆત કરતા મુખ્યમંત્રી તથા આરોગ્ય મંત્રીએ જૂનાગઢમાં કોરોના ટેસ્ટ થઇ શકે તે માટે લેબોરેટરીમાં જરૂરી સાધન - મશીનરી તથા કીટની વ્યવસ્થા કરવા સુચના આપી છે.
આ અંગે જૂનાગઢ મેડિકલ કોલેજના ડીન ડો. એસ.પી. રાઠોડે જણાવ્યું હતું કે, જૂનાગઢમાં આગામી સપ્તાહથી લેબ શરૂ થઇ જશે. અને કોરોનાના ટેસ્ટ થઇ શકશે. રોજ 300 ટેસ્ટ થઇ શકે તેટલી ક્ષમતા રહેશે.
આગામી સપ્તાહથી જૂનાગઢમાં કોરોનાના 300 ટેસ્ટ થઇ શકશે. જેના લીધે જૂનાગઢ ઉપરાંત ગીર સોમનાથ તેમજ આસપાસના વિસ્તારના લોકોના ટેસ્ટ ભાવનગર, રાજકોટના બદલે જૂનાગઢમાં જ શકય થશે અને સમય તથા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચશે.