જૂનાગઢમાં આજે કોંગ્રેસ દ્વારા જનવેદના આંદોલન અંતર્ગત રેલી
- પાક નિષ્ફળ, યુવાનોને રોજગારી, 100 ચો.વારના પ્લોટ આપવા સહિતના મુદ્દે
- વિરોધ પક્ષના નેતા પણ રહેશે હાજર, રેલી બાદ અપાશે કલેક્ટરને આવેદનપત્ર
જૂનાગઢ, તા. 12 નવેમ્બર 2019, મંગળવાર
જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા આવતીકાલે તા. ૧૩ના જનવેદના આંદોલન અંતર્ગત રેલી યોજાશે. જેમાં વિરોધ પક્ષના નેતા હાજર રહેશે. રેલી બાદ પાક નિષ્ફળ, યુવાનોને રોજગારી તથા ગરીબોને ૧૦૦ ચો.વારના પ્લોટ આપવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર અપાશે.
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ તથા કમોસમી વરસાદથી પાકને વ્યાપક નુકસાન થયું છે અને પાક નિષ્ફળ પણ ગયો છે. આ ખેડૂતોને વળતર આપવા, શિક્ષીત બેરોજગાર યુવાનોને રોજગાર તથા ગરીબોને ૧૦૦ ચો.વારના પ્લોટ આપવા મુદ્દે જિલ્લા કોંગ્રેસ દ્વારા જનવેદના આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે.
જેના અનુસંધાને આવતીકાલે તા. ૧૩ના બપોરે બાર વાગ્યે સરદારબાગ નજીકથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાશે. જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી ઉપસ્થિત રહેશે. આ રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે.