નિવૃત્ત વાણિજય વેરા અધિકારીએ રજૂ કરેલું અનુ.જનજાતિનું સર્ટિ. ખોટુ નીકળ્યું
- જૂનાગઢ જિ.પં. કચેરીમાંથી ૧૬ મે ૧૯૭૯ના મેળવ્યું હતું પ્રમાણપત્ર
- સરકાર સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ
રાજકોટ આદિજાતિ વિકાસ વિભાગના મદદનીશ કમિશનરે નિવૃત્ત વાણિજય વેરા અધિકારી તથા પ્રમાણપત્ર આપનાર સમાજ કલ્યાણ અધિકારી સામે નોંધાવી છેતરપિંડીની ફરિયાદ
જૂનાગઢ, તા. 18 જૂન, 2020 ગુરૂવાર
જૂનાગઢ વાણિજય વેરા અધિકારીએ નિવૃત્ત થઈ તેઓએ જિ.પં. કચેરીના સમાજ કલ્યાણ ખાતામાંથી ૧૬ મે ૧૯૭૯ ના મેળવેલું અનુ. જનજાતિનું પ્રમાણપત્ર મેળવ્યું હતું. તે રજૂ કર્યું હતું. આ પ્રમાણપત્રની ખરાઈ થતા તે ખોટુ હોવાનું ખુલ્યું હતું. આથી રાજકોટ આદિજાતિ વિકાસ વિભાગના મદદનીશ કમિશનરે જૂનાગઢના નિવૃત્ત વાણિજ્ય વેરા અધિકારી તથા પ્રમાણપત્ર આપનાર સમાજ કલ્યાણ અધિકારી સામે સરકાર સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના વાણજિય વેરા અધિકારી વર્ગ-૨માંથી તાજેતરમાં નિવૃત્ત થયેલા ભગવાનજી ભાઈ રૈયાભાઈ સિંધલે જૂનાગઢ જિલ્લા પંચાયત કચેરીના સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાંથી ૧૬.૫.૧૯૭૯ના અનુસુચિત જનજાતિનું જાતિ પ્રમાણ પત્ર મેળવ્યું હતું. તેના નં. એસ. ડબલ્યુ. /૩/૧૨૯ છે. આ પ્રમાણપત્રની આદિજાતિ વિકાસ વિભાગની વિશ્લેષણ સમિતી સમક્ષ ખરાઈ કરવામાં આવી હતી. જેમાં તા.૨૬.૨.૧૯૯૧ ના સી.આઈ.ડી. ક્રાઈમ અમદાવાદ દ્વારા તપાસ કરી અહેવાલ આપવામાં આવ્યો હતો. તેમજ વિશ્લેષણ સમિતી હેઠળના વિજીલન્સ સેલ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. ૧૭.૭.૨૦૧૯ના તપાસ અહેવાલ રજૂ કરાયો હતો. જેમાં આ જાતિ પ્રમાણપત્ર રદ કરવા ભલામણ કરવામાં આવી છે. આ તપાસ અહેવાલને ધ્યાને લઈ રાજયનાં આદિજાતિ વિકાસ કમિશનરે ૫/૬/૨૦૨૦થી ભગવાનજી રૈયાભાઈ સિંધલનું અનુસુચિત જનજાતિનું પ્રમાણપત્ર રદ કરવા હુકમ કર્યો હતો. અને શિક્ષાત્મક અને ફોજદાી કાર્યવાહી કરવા માટે રાજકોટ આદિજાતિ વિકાસ વિભાગના મદદનીશ કમિશનરને અધિકૃત કર્યા હતાં.
આ મામલે ગત રાત્રે રાજકોટ આદિજાતિ વિકાસ મદદનીશ કમિશનર એ.એસ. ખવડે જૂનાગઢના નિવૃત્તવ ાણિજય વેરા અધિકારી ભગવાનજીભાઈ રૈયાભાઈ સિંધલ સામે ખોટુ પ્રમાણપત્ર મેળવ્યાની તથા આ પ્રમાણપત્ર આપનાર જિ.પં. કચેરીના સમાજ કલ્યાણ ખાતાના અધિકારી સામે સરકાર સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ કરતા એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.