Get The App

કોંગ્રેસમાં જૂથવાદનો ભાજપે ઉઠાવ્યો ફાયદો, જૂનાગઢ મહાપાલિકામાં ફરી કેસરીયો લહેરાયો

- 60માંથી 54 બેઠક જીતી ગઢ કબ્જે કરતો ભાજપ

-કોગ્રેંસનો માત્ર એક ઉમેદવાર જીત્યો, વિપક્ષ નેતા પદ પણ ગુમાવ્યું NCPનાં ચાર ઉમેદવારોનો થયો વિજય

Updated: Jul 23rd, 2019

GS TEAM

Google News
Google News

- મહેન્દ્ર મશરૂ, ગિરીશ કોટેચા, પૂર્વ મેયર આદ્યાશક્તિબેન, શશીકાન્ત ભિમાણીની જીત, સતિષ કેપ્ટનની થયેલી હાર

કોંગ્રેસમાં જૂથવાદનો ભાજપે ઉઠાવ્યો ફાયદો, જૂનાગઢ મહાપાલિકામાં ફરી કેસરીયો લહેરાયો 1 - image

જૂનાગઢ, તા.23 જુલાઈ 2019, મંગળવાર

જૂનાગઢનો 'ગઢ' ફરી ભાજપે  કબ્જે કર્યો છે. મહાનગરપાલિકાની  કુલ ૬૦માંથી ૫૪ બેઠક પર ભાજપની જીત થઈ હતી. જ્યારે  કોગ્રેંસને ફાળે સમ ખાવા પુરતી માત્ર ૧ બેઠક આવી હતી. જ્યારે એનસીપીના ચાર ઉમેદવારો જીત્યા હતા.  વોર્ડ નં. ૪ અને ૮ સિવાયના તમામ વોર્ડમાં ભાજપના ઉમેદવારોની પેનલ વિજેતા થઈ હતી.   કોંગ્રેસમાં ચાલતા  જૂથવાદ અને આંતરિક ટાંટીયાખેંચનો ભાજપે ફાયદો  ઉઠાવી જૂનાગઢ મહાપાલિકામાં ફરી કેસરીયો લહેરાવ્યો હતો.ભાજપના મહેન્દ્ર મશરૂ, ગિરીશ કોટેચા, પૂર્વ મેયર આદ્યાશક્તિબેન, શશીકાન્ત ભિમાણીની જીત થઈ હતી. જ્યારે કોગ્રેંસના વિપક્ષી નેતા  સતિષ કેપ્ટનની  હાર થઈ છે. 

જૂનાગઢ મહાપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ૧૫ વોર્ડની ૬૦  બેઠકની ચૂંટણી જાહેર થઈ હતી. જેમાંથી વોર્ડ નં. ૩માં ભાજપના ત્રણ ઉમેદવારો બિનહરીફ થયા હતાં. જયારે એક ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. આથી ૧૪ વોર્ડની ૫૬ બેઠક માટે ગત તા.૨૧ જુલાઈના મતદાન થયું હતું. અને ૧૪ વોર્ડમાં સરેરાશ ૪૯.૬૮ ટકા જેટલુ નિરસ મતદાન થયું હતું.

આજે સવારે કૃષિ યુનિ. કેમ્પસમાં આવેલી ઈજનેરી કોલેજ ખાતે મતગણતરી થઈ હતી. શરૂઆતમાં વોર્ડ નં. ૧૩,૯,૧,માં ભાજપની પેનલની જીત થઈ હતી.  કોંગ્રેસને એક પણ બેઠક મળી ન હતી. ત્યારબાદ વોર્ડ નં. ૪માં કોંગ્રેસનાં મહિલા ઉમેદવાર મંજુલાબેન પરસાણાની જીત થઈ હતી. જયારે ત્રણ ઉમેદવારો ભાજપના જીત્યા હતાં. આ ઉપરાંત વોર્ડ નં. ૮માં કોંગ્રેસમાંથી ટિકીટ ન મળતા નારાજ થઈ એન.સી.પી.માં જોડાયેલા ચારેય ઉમેદવારોની પેનલની જીત થઈ હતી.

આખરે બપોરે બાર વાગ્યા સુધીમાં અગાઉ બિનહરીફ થયેલી ત્રણ મળી ભાજપે કુલ ૫૪ બેઠક મેળવી હતી. જયારે કોંગ્રેસને માત્ર એક જ તો એન.સી.પી.એ ચાર  બેઠક મેળવી હતી.

મહાપાલિકા ચૂંટણી પૂર્વ કોંગ્રેસનો આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો.  અંદરો અંદરની ટાંટીયા ખેંચના લીધે કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. અને વિપક્ષ તો ઠીક પરંતુ એન.સી.પી. કરતા પણ ઓછી બેઠક મળી હતી.

ચૂંટણી પૂર્વેથી જ કોંગ્રેસમાં શરૂ થયેલા જૂથવાદનો ભાજપે ફાયદો ઉઠાવ્યો હતો. અને કોંગ્રેસના ઉમેદવારોને પોતાના તરફે કરી લીધા હતાં. તેમજ અન્ય આગેવાનો કાર્યકરોને ભાજપમાં ભેળવી લીધા હતાં. ચૂંટણી પૂર્વેના અંતિમ દિવસોમાં ભારે કોંગ્રેસમાં ભાંગફોડ કરી હતી. આમ કોંગ્રેસનાં જૂથવાદનો ભાજપે ફાયદો ઉઠાવ્યો અને જૂનાગઢ મહાપાલિકામાં ફરી વખત ભાજપનો ભગવો લહેરાવવામાં સફળતા મેળવ ીહતી.

કોંગ્રેસમાંથી વોર્ડ નં. ૪માં માત્ર એક જ ઉમેદવાર વિજેતા થયા છે. જયારે વોર્ડ નં. ૧૫નાં કોંગ્રેસના ઉમેદવાર અને મનપાના વિપક્ષના નેતા સતિષચંદ્ર વિરડાની પણ હાર થઈ હતી. આમ કોંગ્રેસના જૂથવાદને લીધે ભાજપની જીત સરળ બની ગઈ હતી.

અપક્ષ ઉમેદવારી કરનાર પૂર્વ મેયર લાખાભાઈની પણ હાર

જૂનાગઢના પૂર્વ મેયર અને કોંગ્રેસના આગેવાન લાખાભાઈ પરમારને કોંગ્રેસમાંથી ટિકીટ મળી ન હતી. આથી તેઓએ વોર્ડ નં.૧૫માંથી અપક્ષ ઉમેદવારી કરી હતી. જયાં તેઓને ૨૭૧૮ મત મળ્યા હતાં. તેઓ જીતી શકયા ન હતાં. પરંતુ વિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન સતિષચંદ્ર વિરડાને હરાવવામાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. અને વોર્ડનં. ૧૫માં અપક્ષના લીધે કોંગ્રેસની હાર થઈ હતી. અને ભાજપની પેનલ વિજેતા થઈ હતી.

ગત ચૂંટણીમાં કોગ્રેંસને ૧૫ બેઠક, ઘટીને હવે માત્ર ૧

જૂનાગઢ મનપા ૨૦૦૨માં બન્યુ ત્યાર બાદ ૨૦૦૪માં થયેલી ચૂંટણીમાં ૫૧ બેઠકમાંથી કોંગ્રેસને ૧૪, ભાજપને ૩૬,૨૦૦૯માં પણ ૫૧માંથી કોંગ્રેસને ૨૬ અને ભાજપને ૨૧ જયારે ૨૦૧૪માં ૬૦માંથી  કોંગ્રેસને ૧૫ અને ભાજપને ૪૧ બેઠક મળી હતી. જયારે ૨૦૧૯ની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી છે. જે અત્યાર સુધીની કોંગ્રેસની સૌથી ભુંડી હાર છે.

કોંગ્રેસની હારના કારણો

* આંતરિક જૂથબંધી, અંદરો અંદરની ટાંટીયાખેંચ,

*  પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી જૂથવાદ થાળે પાડવામાં નિષ્ફળ.

* જૂના કાર્યકરો આગેવાનોને ટિકીટ ન આપતા તેઓએ અપક્ષ તથા અન્ય પક્ષમાંથી ઉમેદવારી કરી કોંગ્રેસ સામે જ બાયો ચઢાવી.

* પક્ષમાં સંગઠનનો અભાવ, મતદારો ુસધી પહોંચવામાં નિષ્ફળ.

ભાજપની જીતના કારણો

* દાવેદારોને ટિકીટ ન મળી છતાં પક્ષના સંગઠન માટે કામ કર્યું.

* પ્રદેશ કક્ષાના નેતાઓ અન્ય આગેવાનોનું સતત મોનીટરીંગ.

* કેન્દ્ર રાજયમાં ભાજપ સરકાર હોવાનો મુદો લોકોને ગળે ઉતારવામાં સફળતા.

* વોર્ડનાં તમામ બુથ સુધી કાર્યકરોની ફોજ અને લોકોને લાવી કરાવેલ પોતાની તરફેણમાં મતદાન.

જૂનાગઢ મનપાની ચૂંટણીમાં 1289 મત 'નોટા'માં પડયા

વોર્ડ

નોટામાં પડેલા મતની સંખ્યા

૭૧

૮૧

બિનહરીફ

૭૯

૬૭

૬૬

૧૧૦

૭૧

૧૦૧

૧૦

૧૨૨

૧૧

૧૪૯

૧૨

૩૭

૧૩

૯૪

૧૪

૯૯

૧૫

૧૪૨

કુલ

૧૨૮૯

Tags :