જૂનાગઢના મધુરમ તથા માંગરોળના યુવાન અંતે બન્યા કોરોનામુકત
- હજુ બંને યુવાનોને સાત દિવસ કવોરન્ટાઈનમાં રહેવા સુચના
- જૂનાગઢ સિવીલ હોસ્પિટલના તબીબો તથા અન્ય સ્ટાફે બંને યુવાનોને માનભેર કર્યા ડીસ્ચાર્જ
જૂનાગઢ, તા.19 મે 2020, મંગળવાર
જૂનાગઢના મધુરમમાં મુંબઈથી આવેલા યુવાન તથા માંગરોળમાં આંધ્રપ્રદેશથી આવેલા યુવાનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર માટે જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. સાત દિવસની સારવાર બાદ બંને યુવાનો સ્વસ્થ થઈ જતા આજે હોસ્પિટલના તબીબો તેમજ અન્ય સ્ટાફે બંને યુવાનોને માનભેર ડિસ્ચાર્જ કર્યા હતાં.
જૂનાગઢના મધુરમ વિસ્તારમાં મુંબઈથી આવેલા જય ખોડભાયાનો ગત તા.૧૦ના કોરોનાનો પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. જયારે આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાંથી માંગરોળ આવેલા લાખા અનવર ઈસમાઈલ (ઉ.વ.૨૩) નો તા.૧૧મેના કોરોનાનો પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. આ બંનેને જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં દાખલ કરી તબીબો દ્વારા સરકારની ગાઈડ લાઈન મુજબ સારવાર કરવામાં આવી હતી. અને સાત દિવસની સારવાર બાદ બંને યુવાન કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા હતાં.
આજે જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે ડી.ડી.ઓ. પ્રવિણ ચૌધરી, સિવીલ સર્જન ડો. ભાવેશ બગડા તેમજ કોવિડ-૧૯ની ખાસ સારવાર કરતા તબીબોએ બંને યુવાનોને માનભેર ડિસ્ચાર્જ કરી વિદાય આપી હતી.
બંને યુવાનોને સાત દિવસ હોમ કવોરન્ટાઈનમાં રખાશે. તેમજ આરોગ્ય ટીમ દ્વારા તેના આરોગ્યની તપાસણી પણ કરાશે.