જૂનાગઢમાં પાત્રતા ન હોવા છતાં અનેક સરકારી કચેરીઓમાં ચાલતા એ.સી.!
સરકારના પરિપત્રનુ અધિકારીઓ દ્વારા જ ઉલ્લંઘન : સરકારી પરિપત્રનો અમલ કરવાના બદલે અરજીની થતી ફેકાફેકી
જૂનાગઢ, : સરકાર દ્વારા એ.સી.ની સંખ્યા ઓછી કરવા મામલે પરિપત્ર કરી અધિકારીઓની પાત્રતા નક્કી કરવામાં આવી હતી.પરંતુ સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરી સરકારી કચેરીઓમાં એ.સી.ચાલે છે.જૂનાગઢમાં આવી અનેક કચેરી છે.આ મામલે અરજી થઈ છે.પરંતુ તે અંગે કાર્યવાહી કરવાના બદલે અરજીની ફેકાફેકી કરવામાં આવે છે.
સરકારી ખર્ચમાં કરકસર કરવાના હેતુથી સરકારી અધિકારીઓના એ.સી.ના ઉપયોગ અંગે પરિપત્ર કર્યો હતો.પરંતુ સરકારના આ પરિપત્રનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.જૂનાગઢમાં અનેક સરકારી અધિકારી એ.સી.માટે પાત્રતા ધરાવતા નથી.છતાં તેની કચેરીઓમાં એ.સી.ચાલે છે.કલેક્ટર કચેરી મહેસુલી સહિતની કચેરીઓમાં નિયમ વિરૂદ્ધ એ.સી.નો ઉપયોગ થાય છે. આ મામલે કેશોદના અલ્પેશ ત્રાંબડીયાએ અરજી કરી પાત્રતા ધરાવતા ન હોય તેવા અધિકારીઓની કચેરીમાંથી એ.સી.દૂર કરવા માંગ કરી હતી.પરંતુ કાર્યવાહી થઈ નથી.આ પ્રશ્ન મુખ્યમંત્રી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂ કર્યો હતો.પરંતુ તેમાં સમાવેશ કરવાના બદલે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરને તબદીલ કરી દેવામાં આવ્યો હતો.અને અરજીની ફેકાફેકી કરવામા આવી હતી.આથી જે સરકારી અધિકારીઓ પાત્રતા ધરાવતા નથી અને સરકારી કચેરીમાં એ.સી.નો ઉપયોગ કરે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે માર્ગ અને મકાન વિભાગના સચિવ સહિતનાઓને રજુઆત કરવામાં આવી છે.