Get The App

વિસાવદર નજીક સિટી રાઈડ બસ પલ્ટી જતા 6 મુસાફરોનાં મોત, 21ને ઈજા

- સાવરકુંડલાથી પૂરપાટ ઝડપે જૂનાગઢ તરફ બસ જતી બસને ગંભીર અકસ્માત

- પલ્ટી ગયા બાદ બસ ચાર-પાંચ ગોથા મારી રોડથી ત્રીસેક ફુટ દૂર ફંગોળાઈ, બસની છત નીકળી ગઈ અને ટાયર 300 મીટર દૂર ફંગોળાયા

Updated: Jan 11th, 2020

GS TEAM

Google News
Google News
વિસાવદર નજીક સિટી રાઈડ બસ પલ્ટી જતા 6 મુસાફરોનાં મોત, 21ને ઈજા 1 - image


જૂનાગઢ, તા. 11 જાન્યુઆરી 2020, શનિવાર

સાવરકુંડલાથી પૂરપાટ ઝડપે જૂનાગઢ તરફ જતી ખાનગી સિટી રાઈડ બસ આજે બપોરે વિસાવદર તાલુકાના વેકરીયા નજીક પહોંચી ત્યારે ચાલકે બસ પરનો કાબુ ગુમાવતા બસ પલ્ટી મારી ગઈ હતી અને ચાર-પાંચ ગોથા મારી રોડથી ત્રીસેક ફુટ દૂર ફંગોળાઈ હતી. જેમાં છ મુસાફરોના મોત થયા હતા. જ્યારે ૨૧ મુસાફરોને ઈજા થતા વિસાવદર પ્રાથમિક સારવાર બાદ જૂનાગઢ ખસેડાયા હતા. આ ગંભીર અકસ્માતમાં બસની પુરી છત નીકળી ગઈ હતી.

આ અંગેની વધુ વિગત મુજબ આજે બપોરે સાવરકુંડલાથી જીજે૧૧એક્સ ૭૨૩ નંબરની ખાનગી સિટી રાઈડ બસ જૂનાગઢ તરફ આવવા માટે નીકળી હતી. આ બસમાં ૫૦થી વધુ મુસાફરો સવાર હતા. બસમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો હોવા છતા બસનો ચાલક તેને પૂરપાટ ઝડપે ચલાવી રહ્યો હતો.

આ ખાનગી બસ બપોરે બે વાગ્યા આસપાસ વિસાવદર તાલુકાના વેકરીયા નજીક પહોંચી ત્યારે બસના ચાલકે બસ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને પૂરપાટ ઝડપે જતી બસ પલ્ટી મારી ગઈ હતી. પૂરઝડપે જતી બસ પલ્ટી જતા રોડ નીચે ઉતરી ચારથી પાંચ ગોથા મારી ગઈ હતી અને રોડથી ત્રીસેક ફુટ દૂર ફંગોળાઈ ગઈ હતી. બસની છત નીકળી ગઈ હતી અને ટાયર ૩૦૦ ફુટ દૂર ફંગોળાયા હતા.

આ ગંભીર અકસ્માત થતા બસમાં સવાર મુસાફરોની ચિચિયારીઓથી રોડ ગુંજી ઉઠયો હતો. આ અકસ્માતમાં બસમાં બેસેલા વિસાવદર તાલુકાના લાલપુરના વાલજીભાઈ પ્રેમજીભાઈ મોલાડીયા (ઉ.વ. ૬૫), જૂનાગઢના ભીખાભાઈ નાથાભાઈ જોગદીયા (ઉ.વ. ૫૮), વિસાવદરના સલીમભાઈ વલીમહમદ બ્લોચ (ઉ.વ. ૪૦) તથા ધારી તાલુકાના જીરા ગામના શામજીભાઈ કાનજીભાઈ મકવાણાનું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું.

જ્યારે ગંભીર રીતે ઈજા પામેલા ચલાલાના નયનાબેન અમૃતલાલ વડેરા અને વિસાવદરના લાભુબેન ગોવિંદભાઈ (ઉ.વ. ૫૦)ને વિસાવદર પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંને મહિલાનું મોત થયું હતું અને આ ગોઝારા અકસ્માતમાં છ મુસાફરોના મોત થયા હતા.

જ્યારે બસમાં સવાર ખીસરી ગામના ભરતભાઈ વીરજીભાઈ ચાવડા, રવિનાબેન ભરતભાઈ, રીંકલબેન, ભારતીબેન ભરતભાઈ, કંચનબેન દિનેશભાઈ, વિસાવદરના ગોવિંદભાઈ લાખાભાઈ સહિત ૨૧ મુસાફરને ઈજા થતા વિસાવદર બાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયા હતા.

આ અકસ્માત બાદ વિસાવદર પોલીસ તથા આસપાસના ગામના લોકો તથા રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોએ ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડયા હતા. આમ, બે મહિલા સહિત છ લોકોના મોત થતા ગમગીની વ્યાપી ગઈ હતી.

આજથી જ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે ત્યારે આજે જ આ ગમખ્વાર અકસ્માતમાં છ લોકોના મોત થયા છે ત્યારે બેફામ ઝડપી અને ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડી દોડતા વાહનો સામે પગલા લેવામાં આવે એ જરૂરી છે.

અમુક મુસાફર દૂર ફંગોળાયા તો અમુક બસમાં ફસાયા હતા

બસ પલ્ટી મારી ગયા બાદ ગોથા મારતા અમુક મુસાફરો દૂર ફંગોળાયા હતા. તો અમુક બસમાં ફસાઈ ગયા હતા. જેઓને પોલીસ તથા અન્ય લોકોએ બહાર કાઢ્યા હતા.

બસમાં સવાર એક પોલીસ કર્મીને મણકામાં ઈજા

વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી ભાવેશભાઈ અખેડ ધારી પીએમ નોટ લેવા ગયા હતા. ત્યાંથી તેઓ આ બસમાં પરત આવતા હતા. આ અકસ્માતમાં તેઓને મણકામાં ઈજા થતા જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

મુસાફરોએ બે-ત્રણ વખત ડ્રાઈવરને ધીમે ચલાવવા કહ્યું હતું

સાવરકુંડલાથી જૂનાગઢ તરફ આવી રહેલી ખાનગી સિટી રાઈડ બસને તેનો ચાલક પૂરપાટ ઝડપે ચલાવી રહ્યો હતો. આથી બસમાં સવાર મુસાફરોએ બે-ત્રણ વખત ડ્રાઈવરને બસ ધીમે ચલાવવા કહ્યું હતું. ખીસરી ગામના ભરતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે હું હજુ ધીમે ચલાવવાનું કહી બસની પાછળના ભાગે પહોંચ્યો ત્યાં જ બસ પલ્ટી મારી ગઈ હતી.

આઠ 108 ઉપરાંત ખાનગી વાહનોમાં ઈજાગ્રસ્તોને ખસેડવા પડયા

અકસ્માત બાદ રોડ મુસાફરોની ચિચિયારીથી ગુંજી ઉઠયો હતો. આ અંગે જાણ થતા, ધારી બગસરા, વિસાવદર, ભેંસાણ, બિલખા અને જૂનાગઢની આઠ ૧૦૮ ત્યાં પહોંચી ગઈ હતી. પરંતુ ઈજાગ્રસ્તો વધુ હોવાથી ખાનગી વાહનોમાં પણ ઈજાગ્રસ્ત મુસાફરોને સારવારમાં વિસાવદર ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયા હતા.

Tags :