જામનગર તા. 26
જામનગરમાં ભીડભંજન મંદિર રોડ પર ગઇકાલે બપોરે ઘઉં ભરેલા એક ટ્રકનું દોરડું તૂટી જતાં ઘઉની ગુણીઓ માર્ગ પર ઢોળાઈ હતી. ત્યાંથી કોઈ વાહન પસાર થતું ન હોવાથી અન્ય અકસ્માત કે જાનહાનિ થઇ ન હતી.
આ બનાવની વિગત એવી છે કે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ માંથી ગઈકાલે બપોરે એક ટ્રકમાં ઘઉની ગુણીઓ ભરીને લઈ જવામાં આવતો હતો, જે દરમિયાન ભીડભંજન મહાદેવ મંદિર રોડ પર ટ્રકમાં બાંધેલું દોરડું તૂટી જતાં તેમાં ભરેલા ઘઉં ની ગુણીઓ માર્ગ પર ઢોળાઈ હતી.

જે અંગે ટ્રકચાલકને ધ્યાન પડતાં ટ્રકને રોકી દેવાયો હતો. સંખ્યાબંધ ગુણીઓ માર્ગ પર નીચે પડી હોવાથી કેટલીક ગુણીમાંથી ઘઉંનો જથ્થો પણ માર્ગ પર વિખેરાયો હતો.
આ સમયે ઉપરોક્ત માર્ગ પરથી અન્ય કોઇ વાહનની અવરજવર ન હોવાથી, અથવા તો પાછળ બીજી કોઈ વાહન આવતું ન હોવાથી અકસ્માતનો બનાવ કે જાનહાનિ થઇ ન હતી. ટ્રક ચાલક દ્વારા અન્ય લોકોને બોલાવીને તાત્કાલિક અસરથી ગુણીઓ માર્ગ પરથી એકત્ર કરી લેવામાં આવી હતી.


