જામનગરમાં ખનીજ ચોરી પકડવા ડ્રોન કેમેરાનો ઉપયોગ : આજે ચાર ડમ્પર ઝડપી લેવાયા
જામનગર,તા.15 જુલાઈ 2023,શનિવાર
જામનગરનાં ખાણ-ખનિજ વિભાગ દ્વારા ખનિજનાં બિન અધિકૃત ખનન, વહન અને સંગ્રહને અટકાવવા માટે હવે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.આજે જામનગર-ખંભાળિયા માર્ગે ડ્રોન કેમેરા મારફત સર્વે કરીને ખનિજ ભરેલ ચાર ડમ્પર કબ્જે કરવામાં આવ્યા હતાં.
જામનગરના ભૂસ્તર શાસ્ત્રી સુભાષ બી.જોષીની સૂચના થી રોયલ્ટી ઇન્સ્પેકટર રોહિતસિહ જાદવ, માઈન્સ સુપરવાઈઝર અનિલ બી.વાઢેર, પ્રતીક ડી.બારોટ અને તેની ટીમ દ્વારા આજે સવારે જામનગર-ખંભાળિયા માર્ગે ડ્રોન સર્વેલેન્સની મદદ થી બ્લેક ટ્રીપ ખનિજનું અનઅધિકૃત વહન કરતા ચાર ડમ્પરને ઝડપી લેવાયાં હતા અને પડાણા પોલીસ સ્ટેશનમાં મૂકી દેવામાં આવ્યા હતા. તથા રૂ.4.73 લાખની દંડકિય વસુલાત માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગત જૂન માસમાં તાલુકાના વીજરખી, ચેલા, મિયાત્રા, કોંઝા, લાલપુર તાલુકાના પડાણા, જોડિયા તાલુકાના ખીરી અને ડોબર વિસ્તાર, બલંભા, તારાણા, જોડિયા, કાલાવડ તાલુકાના મોટા વડાળા, ધ્રોલ તાલુકાના ખીજડીયા જાળિયા માનસર, સોયાલ વગેરે ગામમાં તપાસ હાથ ધરીને કુલ 31 કેસ કરવામાં આવ્યાં હતાં.અને સરકારને રૂ.39.27 લાખની અવાક થવા પામી હતી.
જ્યારે ચાલુ નાણાકીય વર્ષ એપ્રિલ થી 2023 જૂન સુધીમાં બિન અધિકૃત ખનન વહન અને સંગ્રહના કુલ 88 કેસ કરવામાં આવ્યાં હતાં.અને રૂ.114 લાખ 29 હજારની સરકારને આવક મળી હતી. જ્યારે એપ્રિલ-22 થી જૂન-22 સુધીમા બિન અધિકૃત ખનન, વાહન અને સંગ્રહના 37 કેસ થયા હતા. જે પેટે સરકારને રૂ.42.38 લાખની અવાક થઈ હતી. આમ જામનગરની ભૂસ્તરશાસ્ત્રી કચેરીમાં ફક્ત ત્રણનો ફિલ્ડ સ્ટાફ હોવા છતાં આગલા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષના આવકમાં અઢીસો ટકાનો વધારો થયો છે.
વધુમાં ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ થી જુન સુધીમાં રૂ.1038.52 લાખની સરકારને મલેસુલી આવક પ્રાપ્ત થઈ છે. જ્યારે આગલા નાણાકીય વર્ષમાં એપ્રિલ થી જૂન 2022 માં રૂ.544.07 લાખની સરકારને અવાક થઈ હતી. આમ ઉલ્લેખનીય છે કે આગલા વર્ષની તુલનામાં બિપરજોય વાવાઝોડાની સ્થિતિમાં પણ સરકારને બે ગણી વધારે મહેસૂલી અવાક થઈ છે.