Gujarat

જામનગરના લહર તળાવ નજીક સરકારી ખરાબાની જગ્યામાં બિનઅધિકૃત રીતે પેશકદમી

By GS Team
19 Mar 20201 min read
This article was originally published on 19 Mar 2020
જામનગરના લહર તળાવ નજીક સરકારી ખરાબાની જગ્યામાં બિનઅધિકૃત રીતે પેશકદમી

જામનગર, તા. 19 માર્ચ 2020 ગુરૂવાર

જામનગરમાં નાઘેડી નજીક લહેર તળાવ પાસે સરકારી ખરાબાની જગ્યા આવેલી છે. જે જગ્યામાં તાજેતરમાં પાંચેક જેટલા શખ્સોએ ગેરકાયદે પેશકદમી કરી જેસીબી મશીન વગેરેની મદદથી બાવળ કાઢી નાખ્યા હતા અને બાજુમાં તળાવ આવેલું હોવાથી ખેડાણ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો.

આ અંગે જામનગર ગ્રામ્ય મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર રાકેશ ભરતભાઈ પરમારને ધ્યાનમાં આવતા તેઓએ તુરત જ જમીનમાં પેશકદમી કરનાર આ પાંચેય શખ્સોને અટકાવ્યા હતા અને ફરીથી જમીનમાં પ્રવેશ નહીં કરવા જણાવી સરકારી જગ્યાનુ સાઈન બોર્ડ લગાવ્યુ હતું.

પરંતુ પાંચેય શખસો ફરીથી જમીનમાં પ્રવેશ્યા હતા અને સરકારનું બોર્ડ પણ તોડી નાખ્યું હતું અને પાંચ વીઘા જેટલી જમીનમાં જેસીબી ફેરવી જમીનને સમથળ કરી નાખી હતી. આથી આ મામલો જિલ્લા કલેકટર સુધી પહોંચ્યો હતો અને આખરે પાંચેય શખ્સો વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

જે ફરિયાદના અનુસંધાને પંચકોશી બી ડિવિઝન પોલીસે જામનગરના જોડીયા ભૂંગા વિસ્તારમાં રહેતા મન્સુર મામદ સાઇચા, ગુલાબ નગરમાં રહેતા આમદ ઉંમર ખફી, ઢિચડામાં રહેતા અસગર જૂમા દોદેપોત્રા, અને હનીફ જૂમા ઉપરાંત હાપા માં રહેતા રજાક સીદીક ખીરા વગેરે પાંચ શખ્સોની ધરપકડ કરી લઈ જેસીબી મશીન પણ કબજે કરી લીધું છે.