જામનગર શહેરમાં કોરોના વાઈરસના વધુ બે પોઝિટિવ કેસ આવતા ભારે અફડાતફડી
- શહેરના પટેલ કોલોની વિસ્તાર તેમજ રણજીત સાગર રોડ મારવાડી વાસ વિસ્તારમાં બે પુરૂષોના રિપોર્ટ પોઝિટિવ
જામનગર, તા. 11 મે 2020 સોમવાર
જામનગરની સરકારી ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ગઈકાલે રવિવારે રાત્રે કોરોના વાઈરસના 88 સેમ્પલો ચકાસણી માટે આવ્યા હતા. જે પૈકી 63 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને 25 સેમ્પલો પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા. જે પૈકી આજે સવારે બે સેમ્પલના રિપોર્ટ પોઝિટિવ આવતા જામનગર શહેરમાં દોડધામ મચી ગઈ છે.
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ પુરુષ તેમજ મારવાડી વાસ વિસ્તારમાં રહેતા એક યુવાનના રિપોર્ટ પોઝિટિવ આવતા દોડધામ મચી ગઇ છે. જામનગર જિલ્લામાં કોરોના વાઈરસના સંક્રમિત દર્દીઓનો આંકડો 28નો થયો છે. જે પૈકી બે બાળદર્દીઓના મૃત્યુ નિપજયા છે.
જામનગર શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના કેસોમા ધીમે ધીમે વધારો થતો જાય છે. ગઈકાલે રવિવારના દિવસે એક પણ પોઝિટિવ કેસ આવ્યો ન હતો અને રાહતના સમાચાર હતા પરંતુ આજે સોમવારે સવારે ફરીથી કોરોના વાઈરસના સંક્રમણના એક સાથે બે કેસ સામે આવ્યા છે.
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા 63 વર્ષના એક વયોવૃદ્ધનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે જામનગરના રણજીતસાગર રોડ પર મારવાડી વાસ વિસ્તારમાં રહેતા 32 વર્ષના યુવાનનો પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.
જામનગરની સરકારી ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલની લેબોરેટરીમાં ગઈકાલે સાંજે 88 સેમ્પલો સમગ્ર જિલ્લાભરમાંથી ચકાસણી માટે આવ્યા હતા અને તેનું રાત્રીભર પૃથ્થકરણ ચાલુ હતું. જેમાં વહેલી સવારે 63 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને બાકીના 25 સેમ્પલોને પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા. જેનું પૃથ્થકરણ કરાયા પછી 2 સેમ્પલના રિપોર્ટ પોઝિટિવ મળ્યા છે.
જામનગર શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં 28 કોરોના વાઈરસના કેસો સામે આવ્યા છે. જે પૈકી બે બાળદર્દીઓના મૃત્યુ નિપજયા છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખંભાળિયાની એક મહિલા સહિત 25 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ત્યારે આજે વધુ બે દર્દીઓ સામે આવ્યા હોવાથી તેઓને હોસ્પિટલમાં ખસેડવાની પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે.
જામનગર જિલ્લાનું વહીવટીતંત્ર આ રીપોર્ટને લઈને દોડતું થયું છે અને જામનગરના પટેલ કોલોની વિસ્તાર તેમજ રણજીતસાગર રોડના મારવાડી વાસને કન્ટેઇન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયા.