Get The App

જામનગર શહેર અને લાલપુરના પડાણામાં આત્મહત્યા અંગેના બે કિસ્સા

Updated: Jan 13th, 2024

GS TEAM


Google News
Google News
જામનગર શહેર અને લાલપુરના પડાણામાં આત્મહત્યા અંગેના બે કિસ્સા 1 - image


- જામનગરના બેડી વિસ્તારમાં રહેતી પરણીતાએ બાળકો અંગેની પતિ સાથેની તકરારમાં માઠું લાગવાથી ગળાફાંસા દ્વારા આપઘાત

- લાલપુર તાલુકાના પડાણામાં રહેતા યુવાનનો અગમ્ય કારણસર ઝેરી દવા પી લઇ આપઘાત 

જામનગર,તા.13 જાન્યુઆરી 2024,શનિવાર

જામનગર શહેર અને લાલપુરના પડાણામાં આત્મહત્યાના બે કિસ્સા બન્યા છે. જામનગરના બેડી વિસ્તારની એક પરણીતાને તેણીના પતિ સાથે બાળકો અંગેની તકરારમાં મનમાં લાગી આવ્યા પછી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે, જ્યારે લાલપુર તાલુકાના પડાણા ગામના એક યુવાને રહસ્યમય સંજોગોમાં ઝેરી દવા પી લઇ આપઘાત કરી લીધો છે.

જામનગરના બેડીમાં રહેતી રૂકસાનાબેન હુસેનભાઇ સોઢા નામની 35 વર્ષની પરણીતાએ ગઈકાલે પોતાના ઘેર બાથરૂમમાં સાડી વડે ગળાફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી લીધી છે.

આ બનાવ અંગે મૃતક રૂકસાના બેનના સંબંધી જાફરભાઈ ઓસમાણભાઈ વાઘેરે પોલીસને જાણ કરતાં બેડી મરીન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર રૂકસાનાબેનને તેના પતિ હુસેન સોઢા સાથે બાળકોના કામકાજ બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં તેણીને મનમાં લાગી આવ્યું હતું, અને ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.

આત્મહત્યાનો બીજો કિસ્સો લાલપુર તાલુકાનાં પડાણા ગામમાં બન્યો હતો. ત્યાં રહેતા ભાવેશ મનસુખભાઈ ચુડાસમા નામના 23 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતા મનસુખભાઈ નથુભાઈ ચુડાસમાએ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે જી.જી.હોસ્પિટલમાં પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :